PM મોદીની બેઠક પહેલાં જ મંત્રીઓમાં ચિંતા, મોટા ફેરફારના સંકેતથી રાજકીય ગરમાવો

કેન્દ્ર સરકારના મંત્રીઓના કામકાજને લઈને સોમવારે (7 સપ્ટેમ્બર) સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મહત્ત્વની બેઠક થવાની છે. જેમાં કેટલાક મંત્રીઓના કામ, પ્રદર્શનથી જોડાયેલા મુદ્દાઓ પર વાતચીત થશે. આગામી બેઠકને સંભવિત કેબિનેટ ફેરબદલ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. તેવામાં કોનું પત્તું કપાશે અને કોને પ્રમોશન મળશે, તેના પર સૌની નજર છે.
PM મોદીની મહત્ત્વની બેઠકથી મંત્રીઓમાં ફફડાટ!
આ બેઠકમાં ખાસ કરીને સામાજિક ન્યાય અને જાહેર કલ્યાણ સંબંધિત કામો પર ધ્યાન રહેશે. એટલાં માટે જેમના વિભાગો સામાજિક કલ્યાણથી સંબંધિત છે તેવા ફક્ત રાજ્ય મંત્રીઓ અને સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રીઓને બોલાવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં અન્ય મંત્રાલયોના મંત્રીઓ સાથે તબક્કાવાર આવી જ બેઠકો યોજાશે.
આ મંત્રાલયોની કામગીરીની સમીક્ષા કરાશે
સોમવારની ચર્ચા મુખ્યત્ત્વે શિક્ષણ મંત્રાલય, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય અને કૃષિ મંત્રાલય પર કેન્દ્રિત હશે. જેમાં આયોજિત યોજનાઓ જમીન પર કઈ ગતિએ લાગુ કરવામાં આવી છે અને મંત્રીઓએ તેમની જવાબદારીઓ કેવી રીતે નિભાવી છે તેનું મૂલ્યાંકન કરશે.
આ બેઠકમાં જવાબદારી પણ એક મુખ્ય પાસું હશે. ખાસ કરીને સોંપાયેલી જવાબદારીઓ અંગે મંત્રીઓની કામગીરીની ચર્ચા કરવામાં આવશે. જો કે, બેઠક પછી મંત્રી અંગે તાત્કાલિક કોઈ નિર્ણય લેવામાં આવશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી.
રાજ્યમંત્રીઓ સાથે અલગથી બેઠકો
આગામી દિવસોમાં સરકાર રાજ્યમંત્રીઓના બીજા જૂથ સાથે પણ આવી જ બેઠકો યોજી શકે છે. આ બેઠકોનો ઉદ્દેશ્ય વિવિધ મંત્રાલયોના કાર્યપ્રણાલીને સમજવાનો છે. આ બેઠકોમાં મંત્રીઓના પ્રદર્શન પર ચર્ચા થતી હોવાથી, તેમને સંભવિત કેબિનેટ ફેરબદલ સાથે જોડવામાં આવી રહ્યા છે. જો કે, હજુ સુધી ફેરબદલ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
કેમ મહત્ત્વપૂર્ણ છે આ બેઠક?
મંત્રીઓની કામગીરી અંગેની આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે સરકારી સ્તરે વિવિધ મંત્રાલયોના પ્રદર્શન પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. આ સંદર્ભમાં સોમવારની બેઠક દરમિયાન થયેલી ચર્ચાઓ ભવિષ્યના નિર્ણયો માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

