VIDEO : 'કોકરોચ જનતા પાર્ટી' 6 જૂને દિલ્હીમાં કરશે મોટું આંદોલન, સમર્થકોને એરપોર્ટ પર આવવા આહ્વાન
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકેએ 6 જૂને ભારત પરત ફરીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર જાહેર કરેલા એક વીડિયોમાં તેમણે વિદ્યાર્થીઓ અને સમર્થકોને આ આંદોલનમાં જોડાવાની અપીલ કરી છે. અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેમણે પોતાના સમર્થકો અને વિદ્યાર્થીઓને દિલ્હીમાં તેમની સાથે અવાજ ઉઠાવવા માટે અપીલ કરી છે.
વીડિયો થકી જણાવ્યું કે, 'હવે સમય આવી ગયો છે કે આપણે બધા એક સાથે આવીએ. બંધારણના માર્ગ પર શાંતિપૂર્વક આપણી વાત રજૂ કરીએ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરીએ. જો આપણે સાથે મળીને અવાજ ઉઠાવીશું તો સરકારે સાંભળવું જ પડશે.'
તેણે એવું પણ કહ્યું કે, 6 જૂન, શનિવારની સવારે તે દિલ્હી પહોંચશે. લોકોને વિનંતી કરી છે કે, એરપોર્ટ પર બધા હાજર રહે. આપણે બધા સાથે મળીને સંસદ માર્ગ પોલીસ સ્ટેશન જઈશું અને જંતર-મંતર પર પ્રદર્શન કરવાની મંજૂરી માંગીશું. દિપકેનો આરોપ છે કે પરીક્ષાને લગતી ગેરરીતિઓ અને વિવાદોના કારણે વિદ્યાર્થીઓ ભારે પરેશાન છે. તેમણે સરકાર પાસે આ અંગે જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે.
વીડિયો મેસેજમાં અભિજીતે શું-શું કહ્યું?
અભિજીત દિપકેએ એક વીડિયો સંદેશ જાહેર કરીને ભારત પરત ફરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે તેઓ નીટ (NEET) પરીક્ષા વિવાદ અને કથિત પેપર લીક મામલામાં ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે દેશમાં પરત આવી રહ્યા છે.
અભિજીત દિપકેએ દાવો કર્યો છે કે નીટ પરીક્ષા સાથે જોડાયેલા વિવાદોને કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય પ્રભાવિત થયું છે. તેમણે કહ્યું કે આ મુદ્દે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનોએ તેમને સમર્થન આપ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, શિક્ષણ વ્યવસ્થામાં થયેલી કથિત ગેરરીતિઓ માટે જવાબદારી નક્કી થવી જરૂરી છે અને કોઈને કોઈએ આની જવાબદારી લેવી જ પડશે. તેમણે માહિતી આપી હતી કે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગને લઈને એક ઓનલાઈન પિટિશન (અરજી)ને લાખો લોકોનું સમર્થન મળ્યું છે. આ સાથે જ દેશના વિવિધ ભાગોમાં વિદ્યાર્થીઓ અને યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યા છે.

