'... તો શું કોર્ટ હાથ બાંધીને ઊભા રહી કહે કે અમે શક્તિહીન છીએ?' સરકારી વકીલને CJIએ કર્યા વેધક સવાલ

સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચે આ મામલે રાજ્યપાલ માટે સમયમર્યાદા નક્કી કરી હતી. આ અંગે રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ સંદર્ભ હેઠળ આપવામાં આવેલા બંધારણીય અધિકારનો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટ પાસેથી 14 પ્રશ્નોના જવાબ માંગ્યા છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની 5 જજોની બેન્ચ આ સુનાવણી કરી રહી છે. સુનાવણી દરમિયાન, સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા આવી દલીલ આપવામાં આવી હતી, જેના પર સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું હતું કે શું ચૂંટાયેલી સરકારને રાજ્યપાલના ભરોસે છોડી શકાય?
જણાવી દઈએ કે રાજ્યપાલે તમિલનાડુ, કેરળ, પંજાબ જેવા રાજ્યોની વિધાનસભાઓ દ્વારા પસાર કરાયેલા બિલને પોતાની પાસે રાખ્યું હતું. હવે આ મામલો રાષ્ટ્રપતિ ભવન થઈને સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને વિધાનસભામાંથી પસાર થયેલા બિલને મંજૂરી આપવા અથવા પાછું મોકલવા માટે 90 દિવસની સમયમર્યાદા નક્કી કરવા પર રસપ્રદ ચર્ચા ચાલી રહી છે. રાષ્ટ્રપતિ તરફથી આ કેસમાં એક રેફરન્સ દાખલ કરવામાં આવ્યો છે અને હવે કોર્ટમાં તેના પર ચર્ચા થઈ રહી છે. ગુરુવારે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકારનો પક્ષ રજૂ કરતા બંધારણના આર્ટિકલ 200નો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, બંધારણની આ જોગવાઈ મુજબ રાજ્યપાલની સત્તા વ્યાપક છે અને તેમને વિવેકબુદ્ધિથી કોઈપણ બિલ પર નિર્ણય લેવાનો અધિકાર છે. રાજ્યપાલ બંધારણીય અને રાજકીય શિષ્ટાચારનું પાલન કરીને નિર્ણય લે છે અને તેના માટે કોઈ સમયમર્યાદા નક્કી કરવી ખોટું છે.'
એક બંધારણીય સંસ્થા બીજી સંસ્થા માટે સમયમર્યાદા કેવી રીતે નક્કી કરી શકે?
સરકારનો પક્ષ રજૂ કરતા તુષાર મહેતાએ કહ્યું કે, રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ એક બંધારણીય સંસ્થા છે. તે જ રીતે, કોર્ટ પણ બંધારણીય સંસ્થા છે. સવાલ એ છે કે એક બંધારણીય સંસ્થા પોતાના બરાબરની બીજી સંસ્થા માટે સમયમર્યાદા કેવી રીતે નક્કી કરી શકે?'
અદાલતે ચૂપ ન રહેવું જોઈએ
ચીફ જસ્ટિસ ગવઈએ કહ્યું કે, 'જો કોઈ બંધારણીય સંસ્થા ભૂલ કરે તો તેમાં સમાધાનની જરૂર છે. આ કોર્ટ પણ બંધારણનો જ એક ભાગ છે. જો એક બંધારણીય સંસ્થા કોઈ યોગ્ય કારણ વગર પોતાનું કામ ન કરી રહી હોય, તો શું કોર્ટે એમ કહેવું જોઈએ કે અમે શક્તિહીન છીએ અને અમારા હાથ બંધાયેલા છે? અમારે કંઈક તો નિર્ણય લેવો જ પડશે.'
તુષાર મહેતાએ કહ્યું કે, 'માની લો કે ગવર્નર કોઈ બિલ પર નિર્ણય નથી લઈ રહ્યા, તો તેના માટે રાજકીય ઉકેલો છે. આવા મામલામાં એક પ્રતિનિધિમંડળ વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ પાસે જઈ શકે છે. આ રીતે મામલો ઉકેલી શકાય છે પણ તેનો એ મતલબ નથી કે કોર્ટ દ્વારા સમયમર્યાદા નક્કી કરવામાં આવે. આવા મામલા ઘણા રાજ્યોમાં સામે આવ્યા છે અને તે રાજકીય સમજદારીથી જ ઉકેલાયા છે.'

