ચંદ્રબાબુ નાયડુ બનશે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી, કાલે શપથ ગ્રહણ સમારંભ; પીએમ મોદી સામેલ થશે

તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુને આંધ્ર પ્રદેશમાં NDAના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ચૂંટવામાં આવ્યા છે. 12 જૂને ચંદ્રબાબુ નાયડુ મુખ્યમંત્રી પદના શપથ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થશે. સહયોગી દળ જનસેના વિધાયક દળની બેઠક મળી હતી. આ બેઠકમાં પવન કલ્યાણને જનસેના વિધાયક દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. પવન કલ્યાણ નાયબ મુખ્યમંત્રી બની શકે છે.
સર્વસમ્મતિથી નાયડુના નામ પર લાગી મોહર
વિજયવાડામાં તેલુગુ દેશમ પાર્ટી, જનસેના અને ભાજપના ધારાસભ્યોની બેઠકમાં સર્વસમ્મતિથી નાયડુના નામ પર મોહર લગાવવામાં આવી છે. આંધ્ર પ્રદેશ ભાજપના અધ્યક્ષ ડી.પુરંદેશ્વરી અને જનસેનાના અધ્યક્ષ પવન કલ્યાણ પણ NDAની બેઠકમાં પહોંચ્યા હતા. બન્નેએ મુખ્યમત્રીના ઉમેદવારના રૂપમાં ચંદ્રબાબુ નાયડુને સમર્થન આપ્યુ હતુ. આ પહેલા મંગળવાર સવારે નાયડુને સર્વસમ્મતિથી TDP વિધાયક દળના નેતા ચૂંટવામાં આવ્યા હતા.
શપથ ગ્રહણ સમારંભ ક્યા યોજાશે?
શપથ ગ્રહણ સમારંભનું આયોજન કૃષ્ણા ડિસ્ટ્રિક્ટમાં કેસરાપલ્લી આઇટી પાર્કમાં કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે દિલ્હીથી સવારે 10.40 વાગ્યે ગન્નાવરમ એરપોર્ટ પહોંચશે. તે બાદ શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થશે.
TDPને મળ્યો છે બહુમત
આંધ્ર પ્રદેશ વિધાનસભામાં કૂલ 175 બેઠક છે. ચૂંટણીમાં ચંદ્રબાબુ નાયડુની પાર્ટી તેલુગુ દેશમ પાર્ટી (TDP)ને પ્રચંડ બહુમત મળ્યો છે. TDPએ 135 બેઠક જીતી છે. આઠ બેઠક પર ભાજપ અને 21 પર જનસેનાને જીત મળી છે. સત્તા પર રહેલી YSRCPને માત્ર 11 બેઠક પર જ જીત મળી હતી.

