'ભારતના પ્રતિભાશાળી લોકોને રોકી તમારું જ નુકસાન કરશો', જયશંકરે નામ લીધા વગર અમેરિકાને રોકડું પરખાવ્યું

વિદેશ મંત્રી એસ. જયશંકરે બુધવારે ઈન્ડિયા વર્લ્ડ એન્યુઅલ કોન્ક્લેવમાં પશ્ચિમી દેશોને કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે જો તેઓ બહાર આવતા ટેલેન્ટ સામે દીવાલ ઊભી કરશે તો છેવટે નુકસાન તો તેમનું જ થવાનું છે.
સ્કિલ્ડ વર્કફોર્સની જરૂર તમને છે: જયશંકરનો પશ્ચિમી દેશોને સંદેશો
જયશંકરે કહ્યું કે પોતાની નીતિઓનું ઠીકરું બીજા પર ન ફોડશો. પશ્ચિમના દેશોમાં જે આર્થિક સમસ્યા છે તે પ્રવાસીઓના કારણે નથી. જો અમેરિકા અને યુરોપમાં નોકરીની સમસ્યા હોય તો તેની પાછળનું કારણ તેમની જ નીતિઓ છે. તેમણે જ જાણી જોઈને તેમના બિઝનેસ બહારના દેશોમાં જવા દીધા. જો તમે ટેલેન્ટના પ્રવાહ સામે દીવાલ ઊભી કરશો અંતે નુકસાન તમારું જ થશે. અમને તમારી દયાની જરૂર નથી, તમને ભારતના સ્કિલ્ડ વર્કફોર્સની જરૂર છે. તેમણે વધુમાં કહ્યું કે વૈશ્વિકીકરણ પર ચર્ચા મોટા ભાગે વેપારના સંદર્ભમાં થતી હોય છે પણ તેમાં વર્કફોર્સનું પણ એટલું જ મહત્ત્વ છે.
ફસાયેલા ભારતીયોને પાછા લાવવા અંગે મોટું નિવેદન
વિદેશમંત્રીએ કહ્યું કે, ભારતના વર્કર્સ દુનિયાના વિવિધ દેશોમાં પહોંચી રહ્યા છે. જો કોઈ સંઘર્ષગ્રસ્ત દેશોમાં ફસાઈ જાય તો તાત્કાલિક તેમની મદદ માટે કામ કરાય છે. જ્યારે ક્યાંક સંઘર્ષ થાય તો અમે તટસ્થ ન રહી શકીએ. છેલ્લા ત્રણ વર્ષમાં અમે અલગ અલગ વિસ્તારોથી 28 હજાર ભારતીયોને બચાવીને પાછા લાવ્યા છીએ. એક અંદાજ અનુસાર આશરે 20 લાખ ભારતીયો હાલ ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર્સમાં કામ કરી રહ્યા છે.

