'રાહુલ ગાંધી કા એટમબોમ્બ ફટતા ક્યું નહીં?' વોટચોરીના આરોપો પર ભાજપનો પલટવાર

રાહુલ ગાંધીના મત ચોરીના આરોપોનો ભાજપે વળતો પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધી ચૂંટણીના સમયમાં વિદેશ ફરવા ચાલ્યા જાય તો ક્યાંથી જીતશે? ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, બિહારમાં મતદાન છે અને તેઓ હરિયાણાની ચૂંટણીની વાતો કરે છે. રાહુલ ગાંધીએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો કે હરિયાણાની ચૂંટણીમાં 25 લાખ નકલી મતદારો હતા. દર આઠ મતદારોમાંથી એક નકલી હતો. કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે, હરિયાણામાં નકલી મતો દ્વારા જનાદેશ ચોરી કરવામાં આવ્યો હતો.
કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા કિરેન રિજિજુએ કહ્યું હતું કે, વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ગત સંસદ સત્રમાં રાહુલ ગાંધી એક મહિલાનો ફોટો ટિશર્ટ પર છપાવીને ફરે છે. તે મહિલાએ જ કોંગ્રેસ પાર્ટીને ઠપકો આપ્યો. હવે જ્યારે બિહારમાં ચૂંટણીઓ થઈ રહી છે, ત્યારે હરિયાણાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. સંસદ સત્ર દરમિયાન વિદેશ જતા રહે છે. બિહાર ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો હતો ત્યારે કોલંબિયા જાય છે. વિદેશી પ્રેરણાઓથી પ્રેરાઈને તમારો સમય બગાડી રહ્યા છો. વિપક્ષના નેતાએ તથ્યો પર બોલવું જોઈએ, ખાલી બકવાસ ન કરવો જોઈએ.
'તેમનો બોમ્બ કેમ ફૂટતો નથી?'
રિજિજુએ કહ્યું, "રાહુલ ગાંધીએ એક્ઝિટ પોલમાં જીતનો દાવો કર્યો હતો, પરંતુ 2004ની ચૂંટણીમાં અમે પણ એક્ઝિટ પોલમાં જીતી રહ્યા હતા, પરંતુ અમે એના રોદણા નથી રડ્યા.એક્ઝિટ પોલને ક્યારેય ગાળો નથી આપી. જ્યારે રાહુલ ગાંધીના પક્ષમાં એક્ઝિટ પોલ જાય તો તેને સારા બતાવે છે. જ્યારે વિરોધમાં જાય તો ગાળો આપે છે. તે કહે છે કે, હાઈડ્રોજન બોમ્બ ફૂટશે, પરંતુ એમનો એટમબોમ્બ ફૂટતો કેમ નથી.
હાલમાં જ કોંગ્રેસ નેતાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ત્યારે કહ્યું કે હરિયાણામાં તાલમેલ જ નથી. તો પાર્ટી જીતી કેવી રીતે શકે. રાહુલ ગાંધી ચૂંટણીપંચને ગાળો આપી રહ્યા છે. જો તેઓ આવી રીતે વાત કરશે તો તેમના પર વિશ્વાસ કોણ કરશે. કોંગ્રેસના જ નેતાઓ કહે છે કે જ્યાં સુધી રાહુલ ગાંધી નેતા રહેશે ત્યાં સુધી કોંગ્રેસ જીતી નહીં શકે.
ભાજપ પાર્ટીમાં અનુસાશન છે. અમે 24 કલાક દોડીએ છીએ. આ ભાજપની વ્યવસ્થા છે અને તેના જ દમ પર અમે જીતીએ છીએ. મતદાતા યાદી બધાની પાસે હોય છે. ચૂંટણી પંચની વેબસાઈટ ઉપર પણ હોય છે. જો લિસ્ટમાં કોઈ ગરબડ હોય તો તેને હટાવવાની પ્રક્રિયા પણ છે. SIR મતદાર યાદીની શુદ્ધિ માટે જ છે. જેના નામ આ યાદીમાંથી કપાઈ રહ્યા છે તે ફરિયાદ નથી કરતા. અને રાહુલ ગાંધી રોઈ રહ્યા છે. રાહુલ ગાંધી લોકો સાથે જોડાતા નથી અને દુનિયાભરની વાતો કરે છે.

