બિહાર પોલિટિક્સ: ભરત તિવારી એન્કાઉન્ટરમાં સામેલ પોલીસકર્મીઓ સામે હત્યાની FIR થી હડકંપ

બિહારના ભોજપુર જિલ્લામાં તાજેતરમાં જ થયેલા એક કથિત એન્કાઉન્ટરમાં ભરત ભૂષણ તિવારી નામના યુવકનું મોત નીપજ્યું હતું. આ એન્કાઉન્ટર બાદ બિહાર પોલીસની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. ભોજપુરમાં છેલ્લા કેટલાય દિવસોથી લોકો આ એન્કાઉન્ટરના વિરોધમાં હોબાળો કરી રહ્યા છે તો બીજી તરફ બિહારમાં સત્તાધારી પક્ષના જ કેટલાક નેતાઓએ પોતાની જ પોલીસ સામે સવાલો ઉઠાવીને કડક કાર્યવાહીની માંગ કરી હતી. આ હંગામા વચ્ચે હવે આ કેસમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે.
પોલીસકર્મીઓ વિરુદ્ધ જ નોંધાયો હત્યાનો ગુનો
બિહારના ચર્ચાસ્પદ ભરત તિવારી એન્કાઉન્ટર મામલે આખરે આ એન્કાઉન્ટરમાં સામેલ પોલીસકર્મીઓ વિરુદ્ધ જ હવે FIR દાખલ કરી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક ભરત તિવારીની માતાએ આપેલી અરજીના આધારે ગોળીબાર કરનારા પોલીસકર્મીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા સમગ્ર મામલામાં ઘોર બેદરકારી દાખવવાના આરોપસર એક SHO, બે SI, એક ASI અને એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
એસપી ઓફિસ દ્વારા સત્તાવાર જાહેરાત
ભોજપુર (આરા)ના એસપી (SP) કાર્યાલયે જાહેર કર્યું છે કે, "શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ થયેલા પોલીસ એન્કાઉન્ટરના સંદર્ભમાં, મૃતકની માતા દ્વારા આપવામાં આવેલી અરજીના આધારે શાહપુર પોલીસ સ્ટેશનમાં કેસ નંબર-178/26, તારીખ 22.06.2026 નોંધવામાં આવ્યો છે. આ કેસમાં જગદીશપુરના સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર (SDPO), તત્કાલીન શાહપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ (SHO) અને અન્ય સહયોગી પોલીસકર્મીઓ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે."
હાઈકોર્ટના નિવૃત્ત જજ કરશે ન્યાયિક તપાસ
આ કેસની ગંભીરતાને જોતાં બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ એક મોટો નિર્ણય લેતા જણાવ્યું હતું કે, "ભોજપુર જિલ્લાના શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બિલોટી ગામમાં 17.06.2026ના રોજ થયેલા પોલીસ એન્કાઉન્ટરની સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયિક તપાસ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકાર ગુનેગારો સામે ઝૂકશે નહીં: CM સમ્રાટ ચૌધરી
બીજી તરફ, રાજ્યમાં મચેલા ભારે હોબાળા વચ્ચે મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ ગુનેગારોને કડક ચેતવણી આપતું નિવેદન પણ જારી કર્યું છે. પટનામાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું કે, અપરાધ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ લોકો કોઈ ભ્રમમાં ન રહે, કારણ કે ગુનેગારો સામે કડક એક્શન લેવાઈ રહ્યા છે. બિહાર સરકાર ગુનેગારો સામે ક્યારેય ઝૂકશે નહીં. ગુનો કરનાર કોઈપણ વ્યક્તિને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં. સરકાર અપરાધીઓ વિરુદ્ધ સતત સઘન ઝુંબેશ ચલાવી રહી છે અને ભવિષ્યમાં પણ આ અભિયાન ચાલુ રહેશે.

