VIDEO: 'પેપર લીકનું સૌથી મોટું રેકેટ ભાજપમાં જ ચાલે છે': સંસદમાં શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતના આકરા પ્રહાર
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા પેપર લીક વિરોધી બિલ અંગે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે ભાજપ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે માત્ર નવો કાયદો બનાવવાથી પેપર લીક જેવી ઘટનાઓ અટકશે નહીં, કારણ કે આ સમગ્ર રેકેટના તાર સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા છે.
"જુના કાયદા પર જ નવું લેબલ લગાવ્યું"
બિલ અંગે વાત કરતા સંજય રાઉતે જણાવ્યું હતું કે, "પેપર લીકના મુદ્દા પર ચોક્કસપણે ચર્ચા થશે, પરંતુ પેપર લીક વિરુદ્ધ વિશ્વનું સૌથી મોટું પ્રદર્શન ભારતના જંતર-મંતર પર થઈ ચૂક્યું છે. હવે એક નવું બિલ રજૂ કરવામાં આવ્યું છે અને મોદીજી એવું વિચારી રહ્યા છે કે તેમણે કોઈ બહુ મોટું તીર મારી લીધું છે! પરંતુ વાસ્તવમાં આ એ જ જૂનું બિલ છે. માત્ર એટલો જ ફેરફાર કરાયો છે કે જેલની સજા 1 વર્ષથી વધારીને 10 વર્ષ અને દંડ ₹1 કરોડથી વધારીને ₹10 કરોડ કરવામાં આવ્યો છે."
'NEET પેપર લીકના તાર ભાજપ સાથે જોડાયેલા'
સંજય રાઉતે ભાજપ પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, દેશમાં પેપર લીકનું સૌથી મોટું રેકેટ પોતે ભારતીય જનતા પાર્ટીની અંદર જ ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રમાં NEET પેપર લીક કેસમાં જે લોકોની ધરપકડ કરવામાં આવી છે, તે તમામ ભાજપ સાથે સંકળાયેલા છે. યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલર (VC)ની નિમણૂક સરકાર પોતે કરે છે. NEET અને અન્ય મોટા શિક્ષણ બોર્ડમાં પોતાના માણસોને બેસાડવામાં આવ્યા છે, જેઓ મિલીભગત કરીને આ કારનામા આચરે છે અને આગળ પણ કરતા રહેશે.
બિલ લાવવાથી કંઈ નહીં થાય
સંજય રાઉતે સ્પષ્ટ શબ્દોમાં ઉમેર્યું હતું કે જ્યાં સુધી સત્તામાં બેઠેલા લોકોની દાનત નહીં બદલાય અને ગેરરીતિ આચરનારાઓ સામે કડક પગલાં નહીં લેવાય, ત્યાં સુધી માત્ર કાગળ પર નવું બિલ કે કાયદો લાવી દેવાથી કશું જ પ્રાપ્ત થવાનું નથી.

