કોંગ્રેસનો મોટો ફેંસલો: મલ્લિકાર્જુન ખડગેએ યુપી, હરિયાણા અને ઓડિશામાં નવા પ્રભારી નીમ્યા

કોંગ્રેસે આગામી ચૂંટણીની વ્યુહરચનાને ધ્યાનમાં રાખીને પોતાના સંગઠનમાં મોટો ફેરફાર કર્યો છે. પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની મંજૂરી બાદ ઉત્તર પ્રદેશ (UP), હરિયાણા અને ઓડિશા માટે નવા AICC પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ ફેરફાર હેઠળ રાજેન્દ્ર પાલ ગૌતમને ઉત્તર પ્રદેશ, લાલજી દેસાઈને ઓડિશા અને સંજય દત્તને હરિયાણાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ તમામ નિમણૂકો તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવી છે.
કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર પત્ર અનુસાર, ઉત્તર પ્રદેશના પ્રભારી રહેલા અવિનાશ પાંડેના યોગદાનની પક્ષે પ્રશંસા કરી છે. આ સાથે જ બી. કે. હરિપ્રસાદ અને અજય કુમાર લલ્લુની કામગીરીને પણ બિરદાવવામાં આવી છે. આ ફેરફાર સાથે કોંગ્રેસે નવા પ્રભારીઓને યુપી, ઓડિશા અને હરિયાણામાં સંગઠનને મજબૂત કરવા અને ચૂંટણીની તૈયારીઓને વેગ આપવાની જવાબદારી સોંપી છે.
નોંધનીય છે કે, યુપીમાં રાજેન્દ્ર પાલ ગૌતમની નિમણૂકને રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રાજેન્દ્ર પાલ ગૌતમ દિલ્હી સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે અને હાલમાં તેઓ AICCના અનુસૂચિત જાતિ વિભાગના અધ્યક્ષ પણ છે. અનુસૂચિત સમાજમાં રાજેન્દ્ર પાલ ગૌતમની પકડને જોતાં એવું માનવામાં આવે છે કે, કોંગ્રેસે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2027ની તૈયારીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં પોતાનો જનાધાર વધુ મજબૂત કરવા અને ખાસ કરીને દલિત મતદારોમાં પકડ જમાવવાની વ્યૂહરચના પર કામ કરી રહી છે.
કોંગ્રેસની સોશિયલ એન્જિનિયરિંગને મળી શકે છે મજબૂતી
એવું માનવામાં આવે છે કે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ લાંબા સમયથી સંગઠનાત્મક મજબૂતીને લઈને પડકારોનો સામનો કરી રહી છે. કોંગ્રેસે રાજેન્દ્ર પાલ ગૌતમને પ્રભારી બનાવીને સોશિયલ એન્જિનિયરિંગની સાથે-સાથે પક્ષના સંગઠનને નવી દિશા આપવાનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ, હરિયાણા અને ઓડિશામાં પણ નવા પ્રભારીઓની નિમણૂકને આગામી ચૂંટણીઓ અને સંગઠન વિસ્તારની રણનીતિનો એક ભાગ ગણાવવામાં આવી રહ્યો છે. હવે નજર એ વાત પર રહેશે કે નવા પ્રભારીઓ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને ઓડિશામાં સંગઠનને કેટલું સક્રિય કરી શકે છે અને આગામી ચૂંટણીઓ પહેલા કોંગ્રેસને રાજકીય રીતે કેટલો ફાયદો કરાવી શકે છે.

