ટ્રમ્પને મોટો ઝટકો: EU સાથે FTA કર્યા બાદ ભારતને થઈ શકે છે આ 10 ફાયદાઓ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સહિતના દેશો પર મસમોટો ટૅરિફ ઝિંકીને સંબંધો બગાડી રહ્યા છે, ત્યારે ભારતે અમેરિકાના ટૅરિફને જડબાતોડ જવાબ આપવામ માટે અનેક દેશો સાથે સંબંધો વધારવાની સાથે વેપાર કરાર કરવાની કવાયત શરૂ કરી દીધી છે. એટલું જ નહીં ભારત પોતાના ગાઢ મિત્ર દેશો સાથે વેપાર ભાગીદારી પણ વધારી રહ્યું છે. તાજેતરમાં જ ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે વેપાર કરાર પર હસ્તાક્ષર થયા હતા. આ ઉપરાંત ભારત -બ્રાઝિલ વચ્ચે પણ ટૂંક સમયમાં વેપાર કરાર પર મહત્ત્વનો નિર્ણય થવાનો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, 27 જાન્યુઆરીના રોજ ભારત અને યુરોપીય સંઘ (EU) વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA)ની જાહેરાત થવાની છે, જેના કારણે ટ્રમ્પને મોટો ઝટકો લાગવાનો છે.
ભારત-યુરોપીય સંઘ વચ્ચે થશે મુક્ત વેપાર કરાર
ટ્રમ્પના ટૅરિફ વિવાદ વચ્ચે ભારત અને યુરોપીય સંઘ વચ્ચે મુક્ત વેપાર કરાર થવાનો છે, જેનાથી બંને દેશોને મોટો ફાયદો થવાનો છે. ભારતના ઉત્પાદનો યુરોપીય સંઘમાં ઓછા અને મુક્ત ટૅરિફે આયાત થશે, જ્યારે યુરોપીય સંઘ પણ આવી રીતે જ ભારતમાં આયાત કરી શકશે.
આજ સુધી કોઈપણ દેશે આવી ડીલ કરી નથી: ઉર્સુલા વોન ડેર લેયેન
યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન (Ursula von der Leyen) સ્વિત્ઝર્લૅન્ડના દાવોસમાં 20 જાન્યુઆરીએ કહ્યું હતું કે, ‘યુરોપિયન યુનિયન ભારત સાથે એવી ડીલ કરવાની તૈયારીમાં છે, જે આજસુધી કોઈપણ દેશે કરી નથી. આ ડીલથી 27 દેશોને મોટી રાહત થશે.’ બીજીતરફ ભારતના વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલે પણ ભારત-ઈયી વેપાર કરારને ‘મધર ઑફ ઓલ ડીલ્સ’ ગણાવ્યો છે.
મુક્ત વેપાર કરારથી ભારતને શું ફાયદો?
ભારત અને યુરોપીય સંઘ વચ્ચે 2024-2025માં લગભગ રૂ.11.8 લાખ કરોડ (136.5 અબજ ડૉલર)નો વેપાર થયો હતો. આમાં ભારતે રૂ.6,59,460 કરોડ(75.8 અબજ ડૉલર)ની નિકાસ કરી હતી, જ્યારે યુરોપીયન સંઘે રૂ.5,28,090 કરોડ(60.7 અબજ ડૉલર)ની નિકાસ કરી હતી. જોકે હવે બંને વચ્ચે ‘મુક્ત વેપાર કરાર’ થવાનો હોવાથી ભારતની નિકાસ ઝડપી વધશે. યુરોપના સર્વિસ સેક્ટરથી લઈને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ભારતની નિકાસમાં ધરખમ વધારો થશે.
‘મુક્ત વેપાર કરાર’થી ભારતને થતા 10 મહત્ત્વના ફાયદા
1. ભારતની નિકાસ ઝડપથી વધશે
2. મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટની નિકાસ વધતા આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન મળશે
3. મેન્યુફેક્ચરિંગ, આઇટી, ડિજિટલ સર્વિસ, લોજિસ્ટિક અને MSME સહિતના સેક્ટરોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લાખો નોકરીઓની તકો ઊભી થશે.
4. ભારતીય પ્રોફેશનલ્સને યુરોપમાં કામ કરવાની વધુમાં વધુ તક મળશે.
5. ભારતીય કંપનીઓ યુરોપમાં એન્ટ્રી પણ કરી શકે અને પોતાનો કારોબાર પણ વધારી શકશે.
6. ડીલની સૌથી મહત્ત્વની વાત એ છે કે, ચીન પર ભારતની નિર્ભરતામાં ઘટાડો થશે.
7. અમેરિકાએ ટૅરિફથી યુરોપ સાથે સંબંધો બગાડ્યા છે. આવી સ્થિતિમાં ભારત યુરોપમાં વધુમાં વધુ આયાત કરીને મોટું માર્કેટ બની શકે છે.
8. જો ભારતના સ્ટાર્ટઅપ યુરોપમાં રોકાણ કરશે તો તેમને મોટો લાભ થશે.
9. ડીલના કારણે ભારત-યુરોપીયન સંઘ વચ્ચેનો કારોબાર 136 અબજ ડૉલરથી વધીને 200-250 અબજ ડૉલર સુધી પહોંચવાનો અંદાજ છે.
10. અમેરિકા ટૅરિફથી ભારત-યુરોપીયન સંઘ પર દબાણ કરી રહ્યું છે, જોકે ડીલ બાદ બંનેની આયાત-નિકાસમાં વધારો થવાની બંનેના અર્થતંત્રને ગતિ મળશે.

