મમતા બેનરજીના ધરણા મુદ્દે બંગાળના CM સુવેન્દુ અધિકારીનું મોટું નિવેદન, કહ્યું- 'દેશમાં રહેવું હોય તો...'

પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભારે રસાકસી જામી છે. લોકસભા કે વિધાનસભા ચૂંટણી બાદ પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીએ સત્તાધારી પાર્ટી તરફ એક મોટો ‘બાઉન્સર’ નાખતા વળતો પ્રહાર મળ્યો છે. તેઓ તેમના ભત્રીજા અભિષેક બેનરજી પર થયેલા હુમલા અને હિંસાના વિરોધમાં કોલકાતામાં રસ્તા પર ધરણા પર બેસી ગયા છે. મમતા બેનરજીના આ આંદોલન આક્રમણ સામે નવા મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ પણ મોટો વળતો પ્રહાર કરતા સીધી 'સિક્સર' જ ફટકારી દીધી છે.
મમતાના વિરોધ વચ્ચે CM સુવેન્દુએ શરૂ કર્યો ‘ખેલા’
મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે, બુધવારથી જ રાજ્યના લાયક નાગરિકોના બેંક ખાતામાં 'અન્નપૂર્ણા યોજના'ના પૈસા સીધા ટ્રાન્સફર (DBT) કરી દેવાશે. મમતાના વિરોધ પ્રદર્શન વચ્ચે જનતાને સીધો આર્થિક ફાયદો કરાવીને સુવેન્દુ સરકારે બંગાળમાં મોટો રાજકીય 'ખેલા' શરૂ કરી દીધો છે.
ઘૂસણખોરોને યોજનાનો લાભ નહીં : મુખ્યમંત્રી
હુગલીથી આ મોટી યોજનાની જાહેરાત કરતી વખતે મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ મમતા બેનરજીની કોર વોટ બેંક ગણાતા ઘૂસણખોરો પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કડક ચેતવણી આપી છે કે, દેશના કાયદાનું ઉલ્લંઘન કરનારા ઘૂસણખોરોને આ યોજનાનો એક પણ રૂપિયો નહીં મળે.
શાળામાં 'વંદે માતરમ' અને 'જન ગણ મન' ફરજિયાત
આ સાથે જ તેમણે બંગાળની દરેક શાળામાં 'વંદે માતરમ' અને 'જન ગણ મન' ફરજિયાત કરવાની જાહેરાત કરીને સ્પષ્ટ કહ્યું છે કે, દેશમાં રહેવું હોય તો રાષ્ટ્રીય પ્રતીકો અને દેશના કાયદાનું સન્માન કરવું જ પડશે.
વિકાસ પ્લસ રાષ્ટ્રવાદનો નવો બંગાળ મોડલ
રાજકીય વિશ્લેષકોના મતે, મમતા બેનરજીના આંદોલન સામે સુવેન્દુ અધિકારીની આ રણનીતિ ખૂબ જ સચોટ છે. એકતરફ જ્યાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) હુમલાના નામે પ્રજાની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે બીજી તરફ મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ જનતાના ખાતામાં સીધા પૈસા મોકલીને અને રાષ્ટ્રવાદનો મુદ્દો ઉઠાવીને બંગાળમાં ભાજપના શાસનને મજબૂત કરવાનો મોટો દાવ ખેલ્યો છે.

