VIDEO: આસામના ગોલાઘાટમાં ધનસિરી નદીનું જળસ્તર વધતાં રહેણાંક વિસ્તારોમાં પૂર ઘૂસ્યું
સોર્સ : gstv
આસામના ગોલાઘાટ જિલ્લામાં ધનસિરી નદીમાં આવેલા ઘોડાપૂરના કારણે મરાંગીના રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી જતા સ્થિતિ વધુ વિકટ બની છે. મરાંગી મૌઝાના દુસુતિમુખ વિસ્તારમાં અનેક ઘરોના આંગણાં સુધી પૂરનાં પાણી પહોંચી ગયા છે. ધનસિરી નદીમાં સતત વધારો થતાં આસપાસના ગામોમાં રહેતા લોકોમાં ચિંતા વધી છે. ગોલાઘાટના ખુમટાઈ વિધાનસભા વિસ્તારમાં અંદાજે 14 હજાર પરિવારો એટલે કે લગભગ 52 હજાર લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે. વહીવટીતંત્ર દ્વારા 32 રાહત કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં લગભગ 1,300 લોકો આશરો લઈ રહ્યા છે. અનેક પરિવારો ઘર છોડીને રાહત કેમ્પમાં ખસ્યા છે, જ્યારે કેટલાક લોકો પોતાના ઘરનાં ઉપરના માળે રહીને સામાન અને પશુધનને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે.

