'સપાના 25 જેટલા સાંસદો પાર્ટી તોડવા તૈયાર', DY. CM કેશવ પ્રસાદ મૌર્યનો સનસનીખેજ દાવો!

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ કાનપુરમાં મીડિયા સાથે વાતચીત કરતા દાવો કર્યો છે કે, સમાજવાદી પાર્ટીના 25થી 26 સાંસદો હાલમાં પક્ષ પલટો કરવા અને પાર્ટી તોડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર બેઠા છે. TMC અને શિવસેનામાં થયેલા ભંગાણનું ઉદાહરણ આપતા ભાજપના નેતાઓ દ્વારા સપામાં તિરાડ હોવાની વાતો કહેવામાં આવી રહી છે. નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, ભાજપ હાલમાં તેમની પાર્ટીને પોતે નથી તોડી રહ્યું, પરંતુ વર્ષ 2027ની યુપી વિધાનસભા ચૂંટણી સુધીમાં આ નેતાઓ પોતાની મેળે જ પક્ષ છોડીને ચાલ્યા જશે. આ રાજકીય ઘમાસાણ વચ્ચે રામ મંદિરના મુદ્દા પર પણ નિવેદનબાજી થઈ છે.
'સપામાં મોટું ભંગાણ થશે', ઓમ પ્રકાશ રાજભરની સોશિયલ મીડિયા પોસ્ટથી હલચલ
આ પહેલા રાજ્ય સરકારના મંત્રી ઓમ પ્રકાશ રાજભરની એક સોશિયલ મીડિયા પોસ્ટે ભારે સન્સેશની મચાવી દીધી હતી. રાજભરે લખ્યું હતું કે, સમાજવાદી પાર્ટીમાં મોટું ભંગાણ થશે અને રામ ગોપાલ યાદવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર સોંપ્યો છે. તેમણે ખનન અને ગોમતી રિવર ફ્રન્ટ કૌભાંડનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આખું યુપી આના માસ્ટરમાઇન્ડને જાણે છે, કાનૂની ગાળિયો કસાતા સપા પરેશાન છે અને આખી સપા ભાજપમાં જોડાવા માટે તૈયાર બેઠી છે. બીજી તરફ યુપીના મંત્રી મનોજ પાંડેએ પણ કહ્યું કે, સત્તામાં હતા ત્યારે લોકોને ભગાડનારી સપા સાથે આજે કોઈ રહેવા માંગતું નથી.
'રાજભર પોતે એક કૌભાંડ છે' - સમાજવાદી પાર્ટીનો પલટવાર
ભાજપના આ દાવાઓ પર સમાજવાદી પાર્ટીના નેતાઓએ તીખી પ્રતિક્રિયા આપી છે. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને સપાના ધારાસભ્ય માતા પ્રસાદ પાંડેએ લખનઉમાં જણાવ્યું કે, ઓમ પ્રકાશ રાજભર પોતે જ એક કૌભાંડ છે. તેમણે આક્ષેપ કર્યો કે, રાજ્યમાં સરમુખત્યારશાહી ચાલી રહી છે અને મુખ્યમંત્રીની ભાષા શૈલી યોગ્ય નથી. જ્યારે સપા નેતા રવિદાસ મેહરોત્રાએ રાજભરને બેમોઢાવાળા ગણાવતા કહ્યું કે, તેઓ માત્ર મંત્રી પદ પર ટકી રહેવા માટે આવા નિવેદનો આપે છે. તેમણે દાવો કર્યો કે સપાનો એક પણ નેતા ભાજપમાં નહીં જાય અને 2027માં અખિલેશ યાદવના નેતૃત્વમાં સપાની સરકાર બનશે.
રામ મંદિરના દાનપાત્રમાં ચોરીના મામલે કેશવ મૌર્યનું નિવેદન
કાનપુરમાં રામ મંદિરના દાનપાત્રમાંથી નાણાં ચોરી થવાના મામલે બોલતા ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ જણાવ્યું કે, આ મામલાની તપાસ ચાલી રહી છે, તો પછી FIRની શું જરૂર છે? તેમણે કડક લહેજામાં કહ્યું કે, દાનપાત્રના પૈસા જેણે પણ ખાધા છે, તેને કાનૂની સજા તો મળશે જ, સાથે જ તે જીવનમાં ક્યારેય સુખ ભોગવી નહીં શકે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તપાસ પૂર્ણ થયા બાદ તમામ નાણાં રિકવર થઈ જશે અને હનુમાનજી બધું ઠીક કરી દેશે.

