પહેલગામ હુમલાને લઈને સર્વપક્ષીય બેઠક, ગૃહ મંત્રી અમિત શાહ સહિતના નેતાઓ હાજર

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે અને તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. જોકે આ ભયાનક આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓ હજુ સુધી પકડાયા નથી. આતંકવાદીઓની શોધમાં સેના અને પોલીસ બંને સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.
પહેલગામ હુમલાને લઈને સંસદ ભવન સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે. જેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સહિતના નેતાઓ સંસદ ભવનમાં હાજર છે.
સર્વપક્ષીય બેઠકમાં રાહુલ ગાંધી સહિત વિપક્ષના આ નેતા સામેલ થયા
સર્વપક્ષીય બેઠક પહેલા અમિત શાહ, રાજનાથ સિંહ અને જયશંકરે મીટિંગ કરી હતી. આ ત્રણેય કેન્દ્ર તરફથી બેઠકનું પ્રતિનિધિત્વ કરશે અને વિપક્ષી નેતાઓને સરકારની રણનીતિનું બ્રીફ્રિંગ કરશે.
સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષના નેતા સામેલ થયા હતા. કેન્દ્ર તરફથી રાજનાથ સિંહ, અમિત શાહ, એસ.જયશંકર, કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, TMCના સુદીપ બંદોપાધ્યાય, સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવ, RJDના પ્રેમચંદ ગુપ્તા, AAPના સંજય સિંહ, TDPના કૃષ્ણદેવ રાયુલુ સામેલ થયા હતા.
ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે મુલાકાત કરી
જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને ભારત સરકારે કડક પગલા ઉઠાવવાનું શરુ કરી દીધું છે. બુધવારે પાકિસ્તાન વિરુદ્ધ પાંચ મોટા નિર્ણય લીધા બાદ હવે આજે ગુરુવારે (24 એપ્રિલ) વિદેશ મંત્રી એસ. જયશંકર અને ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે મુલાકાત કરી હતી. આ ઉચ્ચસ્તરીય બેઠક સુરક્ષા સ્થિતિની ગંભીરતા અને આગામી રણનીતિઓ પર ચર્ચાના સંદર્ભમાં તેને મહત્ત્વની માનવામાં આવી રહી છે. અમિત શાહે પહલગામ હુમલાની માહિતી રાષ્ટ્રપતિ મુર્મૂને આપી હતી.
તેની સાથો સાથ વિદેશ મંત્રાલયમાં પણ એક મહત્ત્વપૂર્ણ બેઠક મળી, જેમાં અનેક દેશોના રાજદૂતોને બોલાવાયા. જેને લઈને જર્મની, જાપાન, પોલૅન્ડ, બ્રિટન અને રશિયા સહિત તમામ દેશોના રાજદૂત સાઉથ બ્લોક ખાતે વિદેશ મંત્રાલયના કાર્યાલય પહોંચ્યા હતા. આ રાજદૂતોને પહલગામ આતંકવાદી હુમલાની વિસ્તૃત માહિતી આપવામાં આવી અને ભારતની સુરક્ષા ચિંતાઓથી અવગત કરવામાં આવ્યા છે..
મળતી માહિતી અનુસાર, MEAના વરિષ્ઠ અધિકારી તેમને હુમલા પાછળ સંભાવિત આતંકવાદી સંગઠનો, પાકિસ્તાનની ભૂમિકા અને સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા કાર્યવાહી અંગે માહિતી આપવામાં આવશે.
સેના પ્રમુખ જશે બેસરન
સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી શુક્રવારે ખુદ સ્થિતિની સમીક્ષા કરશે અને બેસરનમાં હુમલાની જગ્યાએ પહોંચશે. તેઓ ત્યાં સૈન્ય કમાન્ડરો અને સ્થાનિક અધિકારીઓ સાથે સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરશે અને આગળની રણનીતિ નક્કી કરશે. સેનાનું આ કદમ આતંકવાદ વિરુદ્ધ નિર્ણાયક કાર્યવાહીની દિશામાં એક મજબૂત સંકેત મનાઈ રહ્યા છે.

