TMCમાં બળવા બાદ NDA બહુમતની નજીક, રાજ્યસભાની નંબર ગેમ બદલાઈ જશે

તૃણમૂલ કોંગ્રેસમાં ચાલી રહેલા બળવા વચ્ચે હવે સંસદના આંકડા બદલાવા જઈ રહ્યા છે. આના પર તાજેતરમાં જ 24 બેઠકો પર યોજાયેલી રાજ્યસભા ચૂંટણીની પણ અસર પડશે, જ્યાં સાંસદો બિનહરીફ ચૂંટાયા છે. એવા અહેવાલો છે કે રાજ્યસભા ચૂંટણીના વર્તમાન સમયમાં NDAને બે-તૃતીયાંશના જાદુઈ આંકડાની નજીક પહોંચવામાં મદદ મળશે. બીજી તરફ TMCમાં બળવો હોવા છતાં લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી હજુ પણ ઘણી દૂર છે.
હાલમાં બેઠકોની સ્થિતિ શું છે
સૂત્રોનું કહેવું છે કે, 148 સાંસદોની વર્તમાન સંખ્યા સાથે NDA રાજ્યસભા ચૂંટણીના વર્તમાન તબક્કામાં ઝારખંડ અને મિઝોરમની અપક્ષ બેઠકો જીતી શકે છે. આ રાજ્યોની ત્રણ બેઠકો પર 18 જૂનના રોજ મતદાન થશે. આ સાથે જ TMCના ચાર રાજ્યસભા સાંસદોના રાજીનામા બાદ NDA પેટાચૂંટણી બાદ આ બેઠકો પણ જીતી શકે છે. જો આવું થશે તો ઉપલા ગૃહમાં NDAનું સંખ્યાબળ વધીને 154 થઈ જશે, જે બે-તૃતીયાંશ બહુમતીના જાદુઈ આંકડાથી 9 બેઠક દૂર છે.
કેટલી બેઠકો જોઈએ
ઉચ્ચ ગૃહમાં TMCના હજુ વધુ સાંસદો રાજીનામું આપે તેવી શક્યતા છે, તેથી એવું માનવામાં આવી રહ્યું છે કે NDA 163નો આંકડો હાંસલ કરી શકે છે. તેનાથી તેને તમામ બંધારણીય સુધારા વિધેયકો (બિલ) પસાર કરવા માટે જરૂરી સંખ્યાબળ મળી જશે. બીજી તરફ વિપક્ષી I.N.D.I.A. ગઠબંધન પાસે હાલ 64 સાંસદો છે. 8 સાંસદો ધરાવતી DMK અને ત્રણ સાંસદો ધરાવતી AAP આ જૂથમાંથી અલગ થઈ ગઈ છે.
જોકે, લોકસભામાં NDAનું સંખ્યાબળ વધીને 313 સુધી વધી શકે છે, કારણ કે TMCના લગભગ 20 જેટલા વધુ સાંસદો એક અલગ જૂથ બનાવીને તેને સમર્થન આપી શકે છે. લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી મેળવવા માટે 363 સાંસદોના સમર્થનની જરૂર હોય છે.
TMCના 20 સાંસદો થયા અલગ
મમતા બેનરજીના નેતૃત્વને મોટો ઝટકો આપતા તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના 20 લોકસભા સાંસદોએ રવિવારે 'નેશનલિસ્ટ સિટિઝન્સ પાર્ટી'માં વિલય (મર્જર)ની જાહેરાત કરી છે. આ સાથે જ આ સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરીને ગૃહમાં અલગ સભ્ય તરીકે બેસવાની મંજૂરી આપતો પત્ર પણ સોંપ્યો છે. TMCના વરિષ્ઠ નેતા કાકોલી ઘોષ દસ્તીદારે જણાવ્યું કે, અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલા 20 સભ્યોએ આજે લોકસભા સ્પીકર સાથે મુલાકાત કરી હતી અને ગૃહમાં અલગ બેઠક વ્યવસ્થા કરવા માટે વિનંતી પત્ર આપ્યો છે. સ્પીકરને મળેલા આ જૂથમાં 20 સાંસદો સામેલ છે, જે ગૃહમાં પાર્ટીના કુલ સાંસદોની સંખ્યાના બે-તૃતીયાંશ કરતાં વધુ છે.
અસલી TMC અદાલતમાં નક્કી થશે
આ જૂથમાં સામેલ સાંસદ સુદીપ બંધોપાધ્યાયે જણાવ્યું કે, બળવાખોર નેતાઓએ NCP સાથે વિલય કર્યો છે, જે એક રાજકીય પાર્ટી છે અને માન્યતા પ્રાપ્ત પ્રાદેશિક પક્ષ છે. અસલી TMC કોણ છે, તે હવે અદાલતમાં નક્કી થશે.
જણાવી દઈએે કે, આ પહેલા TMCના બળવાખોર નેતાઓ દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર યાદવને મળ્યા હતા. લોકસભામાં 28 સભ્યો સાથે TMC (99) અને સમાજવાદી પાર્ટી (37) પછી ત્રીજો સૌથી મોટો પક્ષ હતો.
બેઠકોનું ગણિત
નવેમ્બર સુધીમાં શાસક ગઠબંધન NDAનું સંખ્યાબળ ઘટી શકે છે, કારણ કે ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભાના 10 સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. બીજી તરફ રાજ્ય વિધાનસભામાં પોતાના મજબૂત સંખ્યાબળના જોરે સમાજવાદી પાર્ટીને રાજ્યસભામાં કેટલીક બેઠકો મળી શકે છે.
વિપક્ષી I.N.D.I.A. ગઠબંધન પાસે હાલ 64 સાંસદો છે. આ સ્થિતિ DMKના 8 સાંસદો અલગ થવા અને AAPના ત્રણ સાંસદોએ ગઠબંધનથી અંતર જાળવી લીધા બાદ સર્જાઈ છે. આ ઉપરાંત YSRCP પાસે 7 અને BJD પાસે 6 બેઠકો છે. આ બંને પક્ષો રાજ્યસભામાં ગમે તે તરફ જઈ શકે તેમ છે, કારણ કે તેઓ હાલ કોઈ પણ ગઠબંધનનો હિસ્સો નથી.

