VIDEO: 'રામ કા નામ બદનામ ના કરો...', લાંબા સમય બાદ શશી થરૂરે કોંગ્રેસના સૂરમાં સૂર પૂરાવ્યો

લોકસભામાં મનરેગાનું નામ બદલવા સહિત અને અનેક જોગવાઈઓમાં સુધારો કરીને નવું બિલ રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે લોકસભામાં આ બિલ રજૂ કર્યા બાદ વિપક્ષોએ સખત વિરોધ કર્યો છે. નવા રજૂ કરાયેલા આ બિલમાં મનરેગાનું નામ બદલીને "વિકસિત ભારત - જી રામ જી" યોજના કરવાનો પ્રસ્તાવ છે. આ નવા બિલ અંગે સંસદમાં વિપક્ષે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ આ યોજનાનો જોરદાર વિરોધ કર્યા બાદ શશિ થરૂરે પણ લાંબા સમય પછી કોંગ્રેસ પાર્ટીના અવાજમાં જોડાયા હતા. તેમણે કહ્યું, "હું મનરેગા યોજનામાંથી મહાત્મા ગાંધીનું નામ બદલવાની વિરુદ્ધ છું. હું કારણો અંગે ડિટેઈલમાં નથી જવા માંગતો કારણ કે પૂર્વ વક્તાઓએ આ અંગે ઘણું કહ્યું છે.
શશિ થરૂરે કહ્યું કે, હું 'જી રામ જી' બિલનો વિરોધ કરું છું. મારી પહેલી ફરિયાદ છે કે એનું નામ બદલાઈ રહ્યું છે જે પહેલા મહાત્મા ગાંધીના નામ સાથે જોડાયેલી હતી. મહાત્મા ગાંધીના રામરાજ્યનું વિઝન રાજનીતિક આયોજન નહીં પરંતુ સામાજીક સુધાર હતું. તે ઈચ્છતા હતા કે દરેક ગામ સશક્ત બને અને રામરાજ્ય જેવી સ્થિતિ બને. તેમનું નામ હટાવવું એ ખોટું અને નૈતિકતાની વિરુદ્ધ છે. હું નાનો હતો ત્યારે ગાતો હતો- દેખો ઓ દિવાનો યે કામ ના કરો, રામ કા નામ બદનામ ના કરો.
તિરુવનંતપુરમના કોંગ્રેસના સાંસદ શશી થરૂરે કહ્યું કે, આ ઉપરાંત 40 ટકા બજેટ સીધું રાજ્ય સરકારના હિસ્સામાં ફાળવવું એ પણ ખોટું છે. આનાથી ઓછા મહેસૂલ સંગ્રહવાળા રાજ્યોમાં કટોકટી ઊભી થશે. એવા રાજ્યો કે જે પહેલાથી જ સહાય પર નિર્ભર છે તેઓ આ યોજનાનું ભંડોળ કેવી રીતે આપી શકશે? શશી થરૂરનું આ નિવેદન ઘણાં લાંબા સમય બાદ પાર્ટીના વલણ સાથે મળતું આવ્યું.છેલ્લા કેટલાક સમયથી થરૂરે વારંવાર પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. વધુમાં, તેઓ સતત ત્રણ કોંગ્રેસ બેઠકોમાં ગેરહાજર રહ્યા હતા. જેને લઈને તેમના રાજકીય ભવિષ્ય વિશે અટકળો શરૂ થઈ હતી. એટલા માટે જ જ્યારે તેઓ સંસદમાં આ મુદ્દા પર બોલવા ઉભા થયા અને કોંગ્રેસને ટેકો આપ્યો એ મહત્ત્વપૂર્ણ હતું. થરૂરે સ્પષ્ટ કર્યું કે તેઓ વૈચારિક રીતે હજુ પણ અડગ છે.

