લખનૌ એરપોર્ટ પર અમદાવાદ જેવી મોટી વિમાન દુર્ઘટના ટળી, લેન્ડિંગ સમયે પૈડામાં આગ અને ધુમાડો નીકળ્યો; 250 હજયાત્રીઓને સુરક્ષિત ઉતારાયા
ઉત્તર પ્રદેશના લખનૌ એરપોર્ટ પર મોટી દુર્ઘટના થતા ટળી ગઇ છે. અરેબિયા એરલાઇન્સની ફ્લાઇટ 250 હજ યાત્રીઓને લઇને લખનૌ પહોંચી હતી. લેન્ડિંગ દરમિયાન વિમાનના પૈડામાંથી આગ અને ધુમાડો નીકળવા લાગ્યો હતો.જોકે, તમામ મુસાફરોને સુરક્ષિત ઉતારવામાં આવ્યા હતા. મહત્ત્વપૂર્ણ છે કે 12 જૂને અમદાવાદથી લંડન જતી એરઇન્ડિયાની ફ્લાઇટ AI171 ક્રેશ થતા 241 મુસાફરોના મોત થયા હતા.
અમદાવાદ જેવી મોટી દુર્ઘટના થતા ટળી
લખનૌમાં અરેબિયા એરલાઇન્સની ફ્લાઇટ લેન્ડ થતા જ તેના પૈડામાં આગ લાગી હતી. જોકે, સમય રહેતા તમામ મુસાફરોને સુરક્ષિત ઉતારવામાં આવ્યા હતા. જાણકારી અનુસાર પૈડામાં ટેકનિકલ ખામી અને આગ નીકળવાની સૂચના સૌથી પહેલા પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલરને આપી હતી. તરત જ એરપોર્ટની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિતિને બેકાબૂ બનતા રોકી હતી.
વિમાનમાં આગ ના ભડકે તેના માટે ફોમ અને પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. વિમાનના લેન્ડિંગ બાદ સ્થિતિ કાબુ કરવામાં 20 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. તે બાદ મુસાફરોને સુરક્ષિત ઉતારવામાં આવ્યા હતા.

