બિહારમાં રીલ્સ બનાવવાના ચક્કરમાં 9 સગીરો નદીમાં ડૂબ્યાં, 5 નાં કરૂણ મોત

બિહારના ગયાજીમાં ગુરુવારે એક મોટી દુર્ઘટના બની હતી. ખિઝરસરાય વિસ્તારના કેની પુલ નજીક રીલ્સ બનાવવાના ચક્કરમાં 9 સગીરો નદીમાં ડુબી ગયા હતા. આ દરેક નદીના કિનારે રીલ્સ બનાવી રહ્યા હતા. આ દરમિયાન ઊંડા પાણીમાં ગરક થયા હતા.
સગીરોને મહા મહેનતે બહાર કાઢી સારવાર માટે ખસેડાયા
સગીરોને મહા મહેનતે નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તાત્કાલિક તેમને બેલાગંજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં પ્રાથમિક સારવાર બાદ બે સગીરોને વધુ સારવાર માટે અનુગ્રહ નારાયણ મગધ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. તો સાતને બેલાગંજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ભરતી કરવામાં આવ્યા હતા, જેમાથી પાંચના મોત થયા છે, જ્યારે બે સારવાર હેઠળ છે.
11 અને 12 માં ધોરણના છે તમામ સગીરો
ઘટના અંગે જ્યારે પરિવારને માહિતી મળી ત્યારે આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો. પરિવાર પર દુ:ખનું આભ ફાટી પડ્યુ છે. એક માહિતી પ્રમાણે છોકરાઓ શાળાથી પરત આવી રહ્યા હતા. આ દરમિયાન તેઓ નદી કિનારે વીડિયો બનાવવા ગયા હતા અને આ દુ:ખદ ઘટના બની. લોકોએ કહ્યું કે કેટલાક છોકરાઓ 11મા ધોરણમાં હતા, જ્યારે કેટલાક 12મા ધોરણમાં હતા.
કેની ઘાટ નજીક બની કરૂણ ઘટના
આ સમગ્ર મામલે નીમુચક બાથણી સબ ડિવિઝનના એસડીએમ કેશવ આનંદે જણાવ્યું કે સર્કલ ઓફિસર અને સ્ટેશન હાઉસ ઓફિસર (એસએચઓ) ને ઘટના વિશે માહિતી મળી હતી. તેમણે જણાવ્યું કે, 'છ છોકરાઓના નામ મળી ગયા છે. તેઓ તૌસિફ, જાસિફ, સાહિલ, જામ, સુફિયાન અને સાજિદ છે. આ ઘટના કેની ઘાટ નજીક બની હતી.

