શિવસેના UBTના 6 બળવાખોર સાંસદો એકનાથ શિંદેની 'અસલી શિવસેના'માં સામેલ, ઉદ્ધવ ઠાકરે જૂથને ઝટકો

મહારાષ્ટ્રમાં શિવસેનાના રાજકીય યુદ્ધ વચ્ચે ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો લાગ્યો છે. શિવસેના (UBT) ના 6 બળવાખોર સાંસદો હવે એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થઈ ગયા છે. શિંદે કેમ્પમાં જોડાનારા સાંસદોમાં સંજય દીના પાટીલ, સંજય દેશમુખ, સંજય જાધવ, ભાઉસાહેબ વાકચૌરે, પાટીલ-અષ્ટિકર અને ઓમપ્રકાશ રાજેનિમ્બાલકરના નામ સામેલ છે.
આ સાંસદોએ 17 જૂને દિલ્હીમાં યોજાયેલી શિવસેના (UBT) પાર્લામેન્ટ્રી પાર્ટીની બેઠકમાં ભાગ લીધો ન હતો. ત્યારથી જ તેમના પક્ષ બદલવાની અટકળો તેજ થઈ ગઈ હતી. આ સાંસદો શિંદે જૂથમાં સામેલ થયા હોવાની સત્તાવાર જાહેરાત ખુદ એકનાથ શિંદેએ કરી હતી. આ પ્રસંગે તેમણે વટાણા વેરતા કહ્યું કે, "હવે મારી પાસે ત્રણ સંજય છે." આ સાથે જ તેમણે 2022ના બળવાને પણ યાદ કર્યો હતો. તે સમયે 40 ધારાસભ્યોએ બળવો કરીને એકનાથ શિંદેનો સાથ આપ્યો હતો.
મુખ્યમંત્રી શિંદેએ જણાવ્યું કે અમે હંમેશા બાળાસાહેબ ઠાકરેની વિચારધારાને બચાવવા માટે સંઘર્ષ કરતા રહ્યા છીએ. આ બળવાનો બીજો તબક્કો છે. આ તમામ છ સાંસદો અસલી શિવસેનામાં જોડાયા છે. તેમની સાથે માત્ર એક નહીં, પરંતુ 6 'ટાઇગર' હાજર છે, જેઓ હવે શિવસેના પરિવારનો હિસ્સો બની ગયા છે.
એકનાથ શિંદેએ આગળ કહ્યું કે અમે આ વખતે સિક્સર મારી છે. અમે કોઈનો રસ્તો રોકતા નથી, પરંતુ જો કોઈ અમારો રસ્તો રોકવાનો પ્રયાસ કરે તો બાળાસાહેબ ઠાકરેએ અમને તેનો જોરદાર જવાબ આપતા શીખવ્યું છે. તેમણે ઉમેર્યું કે અમારી પાસે 40 ધારાસભ્યો હતા, પરંતુ ચૂંટણીમાં 60 ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા. છેલ્લા બે વર્ષમાં અમે શિવસેનાને વધુ મજબૂત બનાવી છે.
તેમણે વધુમાં કહ્યું કે અમે અમારી હિન્દુત્વની વિચારધારા પર મજબૂતીથી અડગ રહ્યા છીએ. વિચારધારા અમારા માટે સૌથી મહત્વની છે. કેટલાક લોકોએ વિચારધારા છોડી દીધી અને મતદારો સાથે દગો કર્યો. તેમણે ખાતરી આપી હતી કે પક્ષમાં સામેલ થયેલા તમામ સાંસદોની માંગણીઓ અને તેમના મતવિસ્તારના વિકાસ કાર્યોને પૂર્ણ કરવા માટે પૂરેપૂરો પ્રયાસ કરવામાં આવશે. આ પાર્ટીમાં કોઈ બોસ (માસ્ટર) નથી, બધા સમાન કાર્યકરો છે.
આ પહેલા ધારાસભ્ય મુરજી પટેલે જણાવ્યું હતું કે શિવસેના UBT પોતાના સાંસદોને સાચવી શકી નથી. બીજી તરફ, બળવાખોર સાંસદ ઓમપ્રકાશ રાજેનિમ્બાલકરે રવિવારે શિવસેના (શિંદે જૂથ) માં જવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. તેમણે કહ્યું કે જો લોકો સત્તા તરફ ખેંચાઈ રહ્યા છે, તો તેઓ માત્ર ટ્રેન્ડને ફોલો કરી રહ્યા છે. વિપક્ષી સાંસદોને વિકાસ માટેનું ફંડ (ગ્રાન્ટ) આપવામાં આવી રહ્યું ન હતું.

