ઝારખંડમાં 1 કરોડનો ઈનામી નક્સલી ઢેર, સેનાના સંયુક્ત ઓપરેશનમાં 3 મોટા લીડર્સ ઠાર

ઝારખંડના હજારીબાગ જિલ્લાના જંગલમાં 1 કરોડ રૂપિયાથી વધુના સંયુક્ત ઈનામવાળા ત્રણ નક્સલીઓ માર્યા ગયા છે. પોલીસ અધિક્ષક અંજની અંજને સોમવારે આ માહિતી આપતા કહ્યું કે, સર્ચ ઓપરેશનમાં ત્રણેય નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે.
ઝારખંડના હજારીબાગમાં CRPFની કોબ્રા બટાલિયન, ગિરિડીહ અને હજારીબાગ પોલીસે સંયુક્ત ઓપરેશનમાં ત્રણ નક્સલીઓને ઠાર માર્યા. આ ત્રણેય ટોચના નક્સલી નેતાઓના માથા પર કુલ 1.35 કરોડ રૂપિયાનું ઈનામ હતું. CPI માઓવાદી સેન્ટ્રલ કમિટીના સભ્ય સહદેવ મહતો ઉર્ફે પ્રવેશ પર 1 કરોડ રૂપિયા, SAC સભ્ય રઘુનાથ હેમ્બ્રમ ઉર્ફે ચંચલ પર 25 લાખ રૂપિયાનું ઈનામ અને ઝોનલ કમાન્ડર બિરસેન ગંઝુ પર રૂપિયા 10 લાખનું ઈનામ હતું.
ત્રણેય નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા
વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ ગોરહર પોલીસ સ્ટેશન વિસ્તારના પેંતિત્રી જંગલમાં સવારે લગભગ 6 વાગ્યે પ્રતિબંધિત ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી) ના સહદેવ સોરેનની ટુકડી અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું. ઝારખંડ પોલીસના ઇન્સ્પેક્ટર જનરલ અને પ્રવક્તા માઈકલ રાજ એસ એ જણાવ્યું હતું કે, સર્ચ ઓપરેશન દરમિયાન 1 કરોડ રૂપિયાનું ઇનામ ધરાવતા માઓવાદી સહદેવ સોરેન અને અન્ય બે માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. સહદેવ ઉર્ફે પ્રવેશ માઓવાદીની કેન્દ્રીય સમિતિનો સભ્ય હતો. આ ઓપરેશનમાં માર્યા ગયેલા અન્ય બે લોકોની ઓળખ રઘુનાથ હેમ્બ્રમ ઉર્ફે ચંચલ અને બિરસેન ગંજુ તરીકે થઈ છે.
આઈજી (ઓપરેશન્સ) એ જણાવ્યું હતું કે, "રઘુનાથ સંગઠનનો સ્પેશિયલ એરિયા કમિટી સભ્ય હતો અને તેના માથા પર 25 લાખ રૂપિયાનું ઈનામ હતું જ્યારે ગંજુ ક્ષેત્રિય સમિતિનો સભ્ય હતો. તેના માથે 10 લાખ રૂપિયાનું ઈનામ હતું. એન્કાઉન્ટરમાં અનેક હથિયારો મળી આવ્યા હતા. ગુપ્તચર અહેવાલના આધારે બોકારો અને ગિરિડીહ જિલ્લાની સરહદ પર સ્થિત પેંટિત્રી જંગલમાં કોબ્રા, હજારીબાગ અને ગિરિડીહ પોલીસ કર્મચારીઓ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સંયુક્ત દળો જંગલમાં પહોંચતાની સાથે જ માઓવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો. સુરક્ષાદળોએ વળતી કાર્યવાહી કરતા ગોળીબારીમાં 3 માઓવાદીઓ માર્યા ગયા. સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. છેલ્લા બે દિવસમાં ઝારખંડમાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે આ બીજું એન્કાઉન્ટર છે.

