UP નાં બહરાઈચમાં હોડી પલટતા 24 મુસાફરો નદીમાં ગરકાવ, બચાવ કામગીરી પૂરજોશમાં

ભારત-નેપાળ સરહદને અડીને આવેલા બહરાઈચનાં સુજૌલી વિસ્તારના ભરથાપર ગામના આશરે 28 લોકો બુધવારે ખૈરતિયા ગામમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે હોડીમાં બેઠા હતા. પરત ફરતી વખતે, કૌડિયાલા નદીમાં જોરદાર પ્રવાહને કારણે હોડી પલટી ગઈ હતી અને 24 લોકો લાપતા થયા હતા. નદીમાં ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે.
28 લોકો ખૈરતિયા જવા માટે હોડીમાં બેઠા હતા
તાજેતરમાં, ચૌધરી ચરણસિંહ ઘાઘરા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ પછી, કૌડિયાલા અને ગેરુઆ નદીઓમાં પાણીનો જોરદાર પ્રવાહ વહેતો હતો. બુધવારે, ભરથાપર ગામના રહેવાસી લક્ષ્મીનારાયણ, રાણી દેવી, જ્યોતિ અને હરિમોહન સહિત 28 લોકો ખૈરતિયા જવા માટે હોડીમાં બેઠા હતા. આ હોડી પુટ્ટીલાલના પુત્ર મિહી લાલ ચલાવી રહ્યા હતા. લક્ષ્મીનારાયણના જણાવ્યા મુજબ, કાર્યક્રમમાં હાજરી આપ્યા પછી બધા કૌડિયાલા નદી થઈને એ જ હોડી દ્વારા ભરથાપર પાછા ફર્યા. ગ્રામજનો કહે છે કે ચાલવાનો રસ્તો ઘણો લાંબો હતો, તેથી બધાએ હોડી કરી હતી.
નદીના તીવ્ર પ્રવાહમાં હોડી પલટી ગઈ
એવું કહેવાય છે કે ભરથાપર ગામ પહોંચતા પહેલ, નદીના તીવ્ર પ્રવાહમાં હોડી પલટી ગઈ હતી. નજીકના લોકોએ હરિમોહન, જ્યોતિ, રાણી દેવી અને લક્ષ્મીનારાયણને બચાવી લીધા, પરંતુ અન્ય લોકો નદીમાં ગુમ થઈ ગયા. ગુમ થયેલા લોકોની શોધખોળ માટે ગિરિજાપુરીમાં ચૌધરી ચરણસિંહ ઘાઘરા બેરેજના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે પાણીનો પ્રવાહ અટકી ગયો. ઘટનાની માહિતી મળતાં, એડીએમ અમિત કુમાર, એસપી રામનયન સિંહ અને અન્ય પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા. ડીએમ અક્ષય ત્રિપાઠીએ જણાવ્યું કે નદીમાં ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે.

