જમ્મુ કાશ્મીરમાં જૈશના 2 આતંકી ઢેર, વધુ 3 આતંકીઓને સેનાએ ઘેર્યા

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ માર્યા ગયાના સમાચાર છે. મળતી માહિતી મુજબ, કિશ્તવાડના ચતરુ વિસ્તારના સિંઘપોરામાં સુરક્ષા દળોએ ઘણા આતંકવાદીઓને ઘેરી લીધા છે. સેના અને સુરક્ષાદળોનું સંયુક્ત ઓપરેશન હજુ પણ ચાલુ છે. સ્થળ પર ગોળીબાર પણ ચાલુ જ છે. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડના આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને ખતરાને નિષ્ક્રિય કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાઈએલર્ટ ઓપરેશનમાં આતંકવાદીઓનો સામનો કરવા માટે સેના દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હોવાના સમાચાર છે.
સિંહપોરા, ચતરુ વિસ્તારમાં 4થી વધુ આંતકીઓને ઘેર્યા છે. બે આતંકીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. જણાવી દઈએ કે, જમ્મુ -કાશ્મીર પોલીસે મંગળવાર, 20 મેના રોજ પાકિસ્તાન સ્થિત ચાર આતંકવાદી હેન્ડલરોની મિલકતો જપ્ત કરી હતી. આ કાર્યવાહી ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોર અને દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરા વિસ્તારમાં કરવામાં આવી હતી.
પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે સોપોર વિસ્તારમાં ત્રણ અને અવંતીપોરામાં એક મિલકત જપ્ત કરવામાં આવી છે. સોપોરમાં જે આતંકવાદીઓની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે તેમાં અર્શીદ અહમદ ટેલી (રહે. નવપોરા તુજ્જર), ફિરદોસ અહમદ ડાર ઉર્ફે ઉમર ડાર અને નઝીર અહમદ ડાર ઉર્ફે શબીર ઇલાહી (બંને રહેવાસીઓ હરવાન)નો સમાવેશ થાય છે.
CRPC ની કલમ 82 અને 83 હેઠળ કાર્યવાહી
આ કાર્યવાહી CRPC ની કલમ 82 અને 83 હેઠળ કરવામાં આવી હતી જેમાં પોલીસે મહેસૂલ વિભાગની મદદથી જમીન ઓળખી કાઢી હતી અને કોર્ટના આદેશ મુજબ તેને જપ્ત કરી હતી. તે બધાને કોર્ટ દ્વારા પહેલાથી જ ગુનેગાર જાહેર કરવામાં આવ્યા છે.

