TMCમાં એકસાથે 16 નેતાઓના રાજીનામા, બંગાળમાં હાર બાદ મમતા બેનર્જીની પાર્ટી તૂટવા લાગી?

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ તૃણમૂલ કોંગ્રેસની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે, હલિશહર નગરપાલિકામાં એકસાથે 16 TMC કાઉન્સિલરોએ પોતાના રાજીનામા સોંપી દીધા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યની ચૂંટણીમાં પરાજય બાદ પાર્ટીનું સ્થાનિક નેતૃત્વ ગાયબ થઈ ગયું છે. આ સાથે જ ટીએમસીમાં આંતરિક વિખવાદને લઈને અટકળોનો દોર ફરી શરૂ થઈ ગયો છે.
સૂત્રોના હવાલાથી જણાવવામાં આવી રહ્યું છે કે સ્થાનિક સ્તરે નેતૃત્વ પ્રત્યેના અસંતોષને કારણે કાઉન્સિલરોએ આ નિર્ણય લીધો છે. કથિત રીતે કાઉન્સિલરોનો આરોપ છે કે સાંસદ પાર્થ ભૌમિક સહિત વિસ્તારના ઘણા મોટા નેતાઓએ ચૂંટણીમાં હાર બાદથી તેમનો સંપર્ક કર્યો નથી.
અન્ય વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિ
અહેવાલો અનુસા આવી જ પરિસ્થિતિ કંચરપારા નગરપાલિકા વિસ્તારમાં પણ બની રહી છે. હલિશહર નગરપાલિકામાં રાજીનામું આપનારાઓમાં 5 મહિલાઓ પણ સામેલ છે. જો કે, પ્રમુખ શુભાંકર ઘોષ આ પ્રક્રિયાથી દૂર રહ્યા છે. બીજાપુરના ધારાસભ્ય સુદીપ્તા દાસે રાજીનામું આપનારાઓની યાદી જાહેર કરી છે. તેમણે નાગરિકોને ખાતરી આપી છે કે આના કારણે જનતાના કામોમાં કોઈ મુશ્કેલી નહીં આવે.
વિરોધ પ્રદર્શનમાં ન પહોંચ્યા ધારાસભ્યો
તૃણમૂલ કોંગ્રેસના પ્રથમ મોટા વિરોધ પ્રદર્શનમાંથી પાર્ટીના ઘણા ધારાસભ્યોની ગેરહાજરીએ રાજકીય ગરમાવો લાવી દીધો હતો. આ બધી ઘટના પાર્ટીની આંતરિક બેઠકના એક દિવસ પછી બહાર આવ્યો હતો. TMC પાર્ટીના 80 ધારાસભ્યોમાંથી માત્ર 35 જ આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જેના કારણે રાજકીય વર્તુળોમાં સંગઠનની અંદર સંભવિત મતભેદોને લઈને અટકળો તેજ થઈ ગઈ છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે પાર્ટી ચૂંટણીમાં હાર બાદ પોતાને ફરીથી મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે.
વિપક્ષ નેતા પદ માટે પાર્ટીની પસંદ માનવામાં આવી રહેલા શોભનદેબ ચટ્ટોપાધ્યાયે આંતરિક વિખવાદની અટકળોને ફગાવી દેતા કહ્યું કે, ઘણા ધારાસભ્યો સંગઠનાત્મક જવાબદારીઓ અને અન્ય વ્યવહારુ કારણોસર કાર્યક્રમમાં સામેલ થઈ શક્યા નથી.
રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે, સત્તા પરિવર્તન બાદ તૃણમૂલના ધારાસભ્યોના પ્રથમ મોટા વિરોધ પ્રદર્શનમાં ઓછી હાજરીએ એ સવાલ ઊભો કર્યો છે કે, લાંબો સમય સત્તામાં રહ્યા બાદ પાર્ટી વિરોધ પક્ષની ભૂમિકામાં પોતાને કેટલી અસરકારક રીતે ઢાળી શકે છે.

