યુપી કોચિંગ ક્રેકડાઉન: અલીગંજ દુર્ઘટના બાદ કાનપુરમાં ‘ફિઝિક્સવાલા’ સહિત 16 સેન્ટરો સીલ

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના અલીગંજમાં થયેલા ભીષણ અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં કોચિંગ ક્લાસ અને કોમર્શિયલ બિલ્ડિંગોની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા છે. આ દુર્ઘટનામાં અનેક માસૂમ વિદ્યાર્થીઓના કમકમાટીભર્યા મોતના પગલે ઉત્તર પ્રદેશ વહીવટી તંત્ર હવે એક્શન મોડમાં આવી ગયું છે. આ જ કડીમાં કાનપુર વિકાસ પ્રાધિકરણ (KDA) દ્વારા શહેરના સૌથી મોટા કોચિંગ હબ ગણાતા કાકાદેવ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તંત્રે ફિઝિક્સવાલા સહિત 16 જેટલા ગેરકાયદેસર કોચિંગ સેન્ટરો અને વ્યાપારી સંસ્થાનોને સીલ કરી દીધા છે, જ્યારે અન્ય 22 સામે કડક કાર્યવાહીની તૈયારી ચાલી રહી છે.
લખનૌ દુર્ઘટના બાદ જાગ્યું પ્રશાસન
લખનૌની ઘટનાએ આખા રાજ્યને હચમચાવી દીધું છે. આ અગ્નિકાંડમાં જીવ ગુમાવનારાઓમાં કાનપુરના પણ બે વિદ્યાર્થીઓ સામેલ હતા. આ ઘટના બાદ મુખ્યમંત્રીની સૂચનાથી તમામ જિલ્લાઓમાં કોચિંગ ઇન્સ્ટિટ્યુટ્સની તપાસના આદેશ અપાયા હતા. કાનપુરમાં તપાસ દરમિયાન મોટાભાગના ભવનોમાં ફાયર સેફ્ટીના નિયમોની ઘોર અવગણના, ગેરકાયદે બાંધકામ અને નકશાની મંજૂરી વિના જ ક્લાસીસ ધમધમતા હોવાનું સામે આવ્યું હતું, જેના કારણે આ આકરા પગલાં લેવાયા છે.
માત્ર એક જ રસ્તો હોવાથી મોટો ખતરો
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, કાકાદેવ વિસ્તારમાં મોટાભાગના કોચિંગ ક્લાસીસ એવી ઇમારતોમાં ચાલે છે જ્યાં પ્રવેશવા અને બહાર નીકળવા માટે માત્ર એક જ સાંકડો રસ્તો છે. બિલ્ડિંગોમાં ઇમરજન્સી એક્ઝિટ (આપાતકાલીન નિકાસ)ની કોઈ વ્યવસ્થા જ નથી. આવી સ્થિતિમાં જો ક્યારેક આગ લાગે તો સેંકડો વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાઈ શકે છે.
વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા
KDAની આ અચાનક થયેલી કાર્યવાહીને કારણે કાકાદેવ વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. જે સમયે સીલિંગની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે ઘણા ક્લાસમાં ભણાવવાનું ચાલુ હતું. અચાનક સેન્ટરો સીલ થવાને કારણે આગામી પરીક્ષાઓને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, અધિકારીઓનું કહેવું છે કે બાળકોના જીવના ભોગે કોઈ બાંધછોડ વહીવટી તંત્ર ચલાવી લેશે નહીં અને આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.

