ગુજરાતીઓમાં ગેરકાયદે અમેરિકા જવાની ઘેલછા, યુવાનોમાં ડોલરિયા દેશનો મોહ કેમ?

ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનતા જ અમેરિકામાં ગેરકાયદેસર ગયેલા ભારતીયોને પરત મોકલવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધી ત્રણ ફ્લાઇટમાં 350થી વધુ ભારતીયોને પરત મોકલવામાં આવ્યા છે.આ ફ્લાઇટમાં પંજાબી અને ગુજરાતીઓની સંખ્યા સૌથી વધારે છે.
અમેરિકાથી ત્રણ ફ્લાઇટમાં 74 ગુજરાતીઓને ડિપોર્ટ કરાયા
અમેરિકાથી ત્રણ ફ્લાઇટમાં કૂલ 74 ગુજરાતીઓને અત્યાર સુધી ડિપોર્ટ કરવામાં આવ્યા છે જેમાં પહેલી ફ્લાઇટમાં 33, બીજી ફ્લાઇટમાં 8 અને ત્રીજી ફ્લાઇટમાં ફરી 29 લોકોને અમૃતસર ડિપોર્ટ કરવામાં આવ્યા હતા.
યુવાનોમાં અમેરિકા જવાનો આટલો મોહ કેમ
અમેરિકામાં કાયદા પ્રમાણે યોગ્ય વિઝા ધરાવતા કર્મચારી કે મજૂર-કારીગરને કલાકના 17-18 ડૉલર આપવા પડે છે અને રોજના નવ કલાકનું કામ થાય છે. દુકાન રેસ્ટોરાં, મોટેલ કે બાંધકામ કંપનીઓ ગેરકાયદેસર વસાહતીઓને નોકરીએ રાખીને કલાક દીઠ 10 ડૉલર આપીને ખાસ્સી બચત પણ કરે છે.
અમેરિકા જવાની આંધળી દોટ એ હદની છે કે ભારતમાં પ્રમાણમાં સુખથી અને તેના કરતાં પણ વધુ આત્મ સન્માન અને આઝાદી સાથે રહેવાનું હોવા છતાં કેટલાક નાગરિકો તેમની અને આખા પરિવારની જીંદગી હોડમાં મૂકીને ઘૂસણખોરી કરવા માટે લાઈન લગાવીને બેઠા છે.અમેરિકામાં જે કામ કરીને કમાણી કરવાની તૈયારી બતાવીએ છીએ તે કામ ભારતમાં નથી કરવું. ભારતમાં ખાધે પીધે સુખી પરિવારના લોકો અમેરિકામાં હોટલમાં રૂમ સર્વિસ કરતા,પીઝા કે મદ્યપાન પીરસતા કે પેટ્રોલ પંપ પર, જાહેર માર્ગો પર ઉકરડાને ટ્રકમાં ઠાલવતા કે સફાઈનું મશીન ફેરવતા જોવા મળે છે.
ગેરકાયદેસર ભારતીયો અમેરિકામાં ઘુસવામાં સફળ થઇ ગયા છે તેઓ આવી જ નોકરી કે મજૂરી કરી ઉચ્ચક મહેનતાણું મેળવે છે. ગેરકાયદેસર ઘુસણખોરો અમેરિકામાં ના તો બેન્ક એકાઉન્ટ ખોલાવી શકે છે કે ના તો પછી ડ્રાઇવિંગ લાઈસન્સ મેળવી શકે છે.
ગેરકાયદેસર રીતે વિદેશ કેમ ના જવું જોઇએ?
ગેરકાયદેસર અમેરિકામાં ઘુસનાર વ્યક્તિ એક કરોડ જેટલી રકમ ખર્ચે છે અને પછી તે પકડાય તો આખુ જીવન કલંક સાથે જીવવું પડે છે.એક કરોડ રૂપિયા ગયા તે નુકસાન પણ કેટલું મોટું.ભારતમાં એવા હજારો પરિવાર હશે જે એક કરોડની આખરી બચતની રકમ સાથે લહેરથી મધ્યમ વર્ગના પરિવારને નિભાવે છે.એક કરોડ રૂપિયા લોભમાં આવ્યા વગર આઠ ટકાના વ્યાજના દરે બેંકમાં મૂકો તો પણ મહિને સાઈઠ - સિત્તેર હજાર જેટલી રકમ વ્યાજની મળે છે.
અમેરિકામાં ગેરકાયેસર પકડાયેલા લોકો સાથે કેવો વ્યવહાર થાય છે
અમેરિકામાં ગેરકાયદેસર પકડાયેલા લોકોને ડિટેન્શન સેન્ટરમાં રાખવામા આવે છે અને તેમની સાથે આતંકીઓ જેવો વ્યવહાર કરવામાં આવે છે. એક ભારતીય ગેરકાયદેસર ઇમિગ્ર્ન્ટ્સે જણાવ્યું રાત્રે કેટલીક વખત તેમને ઉંઘમાંથી જગાડવામાં આવે છે અને ક્યારેક તો સફાઇ તો ક્યારેક અન્ય કામથી તેમને પરેશાન કરવામાં આવે છે. ડિટેન્શન સેન્ટરમાં પણ તેમને ભજન માટે માત્ર ચિપ્સ, જ્યુસ અને સફરજન જેવા ફળ જ આપવામાં આવે છે. કડકડતી ઠંડીમાં ડિટેન્શન સેન્ટરમાં AC ચલાવીને તેમને ઠંડીમાં રાખવામાં આવે છે અને પહેરવા માટે માત્ર એક લોઅર અને ટી શર્ટ જ આપવામાં આવે છે.

