Video: નવરાત્રીના રંગમાં ભંગ, Valsad માં ધોધમાર વરસાદથી ગરબા મંડપોમાં ભરાયા પાણી, અનેક વૃક્ષો તૂટ્યા
નવરાત્રીના આનંદમય વાતાવરણમાં મેઘરાજાએ વિલન બની એન્ટ્રી મારી છે. વલસાડ જિલ્લાના વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ અને ભારે પવન ફૂંકતા ખેલયાઓના રંગમાં ભંગ પડ્યો છે. ગઈ કાલે રાત્રે શરૂ થયેલા ધોધમાર વરસાદ, વીજળીના કડાકા અને જોરદાર પવનને કારણે ગરબા મહોત્સવો અધૂરા રહ્યા.
ભક્તિનું અનોખો પ્રદર્શન
વલસાડના અનાવેલ પરિવાર દ્વારા આયોજિત ગરબા મહોત્સવના ડોમમાં પાણી ભરાયું હતું. પાણી ભરાવાની શરૂઆત સાથે જ આયોજક દ્વારા તુરંત ગરબા બંધ કરીને લોકોને વિનંતી કરવામાં આવી હતી કે તેઓ ધીરે ધીરે પોતાના ઘર તરફ નીકળતા થાય. જેમ જેમ વરસાદ વધ્યો હતો તેમ તેમ આયોજકો દ્વારા વ્યવસ્થા ઉભી કરી લોકોને બહાર જવા માટે વિનંતી કરવામાં આવી હતી. ભારે વરસાદને લઈને ગરબા રમવાનું તો બંધ થયું હતું પરંતુ અનાવિલ પરિવારની મહિલાઓ દ્વારા સ્થાપેલ ગરબાની ગરિમા જાળવતા ડોમમાં બેસીને પાંચ ગરબા ગાઈ માતાજીની ભક્તિ કરી હતી
સરદાર હાઈટ્સમાં મંડપ તૂટ્યો: વાહનોને ભારે નુકસાન
વલસાડના સરદાર હાઈટ્સ ખાતે આવેલા ગરબા મહોત્સવમાં વધુ ગંભીર ઘટના બની. તિથલ રોડ પર ભારે પવન અને વરસાદ આવતાં મંડપ તૂટી પડ્યો, જેના કારણે આજુબાજુની ઘણી ગાડીઓને નુકસાન થયું. વીજળીના કડાકા અને જોરદાર પવન ફૂંકતા લોકોએ તુરંત સુરક્ષિત સ્થળે આશરો લીધો. આ ધોધમાર વરસાદ અને પવનએ ગરબાના આયોજનને મોટું નુકસાન પહોંચાડ્યું, જ્યારે વાહનોના માલિકોને પણ આર્થિક નુકસાનીનો સામનો કરવો પડ્યો.
ઉમરગામ તાલુકામાં વરસાદી માહોલ: નવરાત્રીમાં ભંગ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં પણ વરસાદી માહોલ જામી ગયો, જેના કારણે નવરાત્રીના રંગમાં ભંગ પડ્યો. ગઈ કાલે રાત્રે ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં મોટા ભાગના નવરાત્રી મંડપો અને મેદાનો વરસાદી પાણીથી ભરાઈ ગયા. આના કારણે ગરબા સ્પર્ધાઓ અને રમઝટ શાંત રહી ગઈ. આજે સવારે પણ વરસાદી વાતાવરણ યથાવત્ રહ્યું, જેના કારણે લોકોએ છત્રી અને રેનકોટનો સહારો લેવો પડ્યો. ધારવા કરતા વધુ જોરદાર વરસાદ અને આકાશી ચમકારા જાણે મેઘરાજા જતા જતા અલવિદા કહેતા હોય તેવો માહોલ સર્જાયો, જેના કારણે ખેલયાઓનું મન ઉદાસ થઈ ગયું.
સ્ટેશન રોડ પર વૃક્ષો અને શેડ તૂટ્યા: રસ્તાઓ બંધ, કોઈ જાનહાનિ નહીં
વલસાડના સ્ટેશન રોડ રેલ્વે કોલોની પાસે ભારે વરસાદને કારણે ઘણા મહાકાય વૃક્ષો તૂટી પડ્યા, જેના કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા. આ ઉપરાંત, જૂની ઇમારત પરથી પતરાના શેડ તૂટી પડ્યા. રાહદારીએ તુરંત કાર્યવાહી કરી અને તૂટેલા ભાગોને ખસેડી દીધા. ભાગ્યવશ, આ ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી, જે લોકોની સાવચેતી અને વહીવટી વ્યવસ્થાનું પ્રતીક છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ વરસાદની ચેતવણી જારી કરી છે, તેથી આયોજકો અને લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.

