VIDEO: ઉમરગામમાં 28 કલાકમાં 43 ઈંચ વરસાદ, 474 માર્ગો અને પુલો ઠપ્પ, ST બસની 200થી વધુ ટ્રીપ રદ; સુરત, વલસાડ નવસારીમાં જળબંબાકાર
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ પોતાનું અત્યંત આક્રમક અને રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. અતિભારે વરસાદના કારણે સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં જળબંબાકારની ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. સૌથી વધુ વિપરીત અસર વલસાડ જિલ્લાના ઉમરગામમાં જોવા મળી છે, જ્યાં માત્ર 28 કલાકના ટૂંકા ગાળામાં 43 ઇંચથી વધુ રેકોર્ડબ્રેક વરસાદ ખાબક્યો છે. આ આકાશી આફતને કારણે નીચાણવાળા તમામ વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે.
474 માર્ગો અને પુલો ઠપ્પ, ST બસની 200થી વધુ ટ્રીપ રદ
વલસાડ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસી રહેલા અવિરત ભારે વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં સ્થિતિ ગંભીર બની છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા, માર્ગો ધોવાઈ જવા તેમજ પુલ અને કલ્વર્ટ ઉપરથી પાણી વહેતા હોવાના કારણે નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કુલ 474 માર્ગો અને પુલો પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.બંધ કરવામાં આવેલા રસ્તાઓમાં પંચાયત હસ્તકના 442 અને સ્ટેટ હસ્તકના 32 માર્ગોનો સમાવેશ થાય છે. વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. વાહનોની સલામતી અને મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા 200થી વધુ બસ ટ્રીપ રદ કરવાનો નિર્ણય લેવાયો છે.
મુખ્યમંત્રીએ SEOC પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી
દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલી કુદરતી આફતની ગંભીરતાને જોતાં મુખ્યમંત્રીએ ગાંધીનગર સ્થિત સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે રૂબરૂ પહોંચીને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમણે તમામ અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો પાસેથી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને રાહત-બચાવ કામગીરી ઝડપી બનાવવા આદેશ આપ્યા હતા.

