Video/ Vadodara ના ગોરવામાં દબાણ હટાવવા મુદ્દે ભારે હોબાળો: ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે તીખી તકરાર
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોરવા મધુનગર પાસે દબાણો તોડવાની કામગીરી દરમિયાન ગઈકાલે દિવસભર ભારે ઉત્તેજનાભર્યો માહોલ જોવા મળ્યો હતો. પાલિકાની દબાણ શાખાની ટીમ જ્યારે પોલીસ કાફલા સાથે બુલડોઝર લઈને પહોંચી ત્યારે ભાજપના ધારાસભ્ય કેયુર રોકડિયા અને કોંગ્રેસના અગ્રણી નરેન્દ્ર રાવત વચ્ચે જોરદાર રાજકીય હુંસાતુંસીના દ્રશ્યો સર્જાયા હતા.
કોંગ્રેસનો આક્ષેપ:
"પહેલા મકાન આપો, પછી તોડો" કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવતે રહીશોનો પક્ષ લેતા પાલિકા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે, "પાલિકાએ ગરીબોને વૈકલ્પિક આવાસ કે એલોટમેન્ટ લેટર આપ્યા વગર જ મકાનો તોડવાનું શરૂ કરી દીધું છે. સત્તાધીશો ગરીબોના માથે છત છીનવી રહ્યા છે."
ભાજપનો વળતો પ્રહાર:
"કોંગ્રેસ દબાણકર્તાઓની મસીહા" સામે પક્ષે ધારાસભ્ય કેયુર રોકડિયાએ વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, "કોંગ્રેસ માત્ર વોટબેંકની રાજનીતિ કરી રહી છે અને દબાણકર્તાઓની મસીહા બનવાનો ડોળ કરે છે. હકીકતમાં વિસ્તારના સ્થાનિક રહીશો આ દબાણો દૂર થવાથી ખુશ છે, પરંતુ કોંગ્રેસના પેટમાં તેલ રેડાય છે."
પાલિકાની કાર્યવાહી તમામ વિરોધ અને રાજકીય કાવાદાવા વચ્ચે પાલિકાની દબાણ શાખાએ મક્કમતા બતાવી હતી. દબાણ શાખાના અધિકારી ચિરાગ શાહની આગેવાનીમાં મદ્રેસા સહિત કુલ 17 જેટલા પાકા મકાનો અને દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. મધુનગરમાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ પ્લોટને દબાણમુક્ત કરવામાં આવ્યો હતો.

