વડોદરાના ચર્ચિત ભાયલી દુષ્કર્મ કેસનો મામલો, પાંચેય દોષિતોને કોર્ટે આજીવન કેદની ફટકારી સજા

રાજ્યભરમાં ચકચાર જગાવનારા વડોદરાના ભાયલીના સામૂહિક દુષ્કર્મ કેસમાં તમામ પાંચ દોષિતોને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. અગાઉ તમામ 5 દોષિતોને કોર્ટ દોષિત ઠેરવ્યા હતા. જોકે તેમને કેટલી સજા કરવી તે અંગે 25 ઓગસ્ટે કોર્ટમાં બંને પક્ષની આખરી દલીલો સાંભળવામાં આવી હતી. હવે આજે તેમની સજા પર ચુકાદો આપી દેવામાં આવ્યો છે.
નવરાત્રિની રાત્રે સગીરા પર સામૂહિક દુષ્કર્મ
આ ચકચારી ઘટના 4 ઓક્ટોબર 2024ના રોજ નવરાત્રીના બીજા નોરતે રાત્રિના સમયે ભાયલી વિસ્તારમાં બની હતી. 16 વર્ષીય સગીરા તેના મિત્ર સાથે ભાયલી-બીલ ટીપી રોડ પર આવેલી અવાવરું જગ્યાએ બેઠી હતી. દરમિયાન બે મોટરસાઇકલ પર પાંચેેય નરાધમ ત્યાં આવી પહોંચ્યા હતા.
દોષિતોએ સગીરાના મિત્રને બંધક બનાવી તેની સાથે મારપીટ કરી હતી. ત્યારબાદ ત્રણ દોષિતોએ સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. તેમણે સગીરાના મિત્રની હાજરીમાં જ આ કૃત્ય આચર્યું હતું. બાદમાં સગીરાના મિત્રનો મોબાઇલ ફોન લૂંટી દોષિતો ફરાર થઈ ગયા હતા, જેથી તે તાત્કાલિક મદદ માગી ન શકે.
ટેકનિકલ સર્વેલન્સ અને CCTVથી દોષિતો ઝડપાયા
ઘટના બાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને CCTV ફૂટેજના આધારે દોષિતો સુધી પહોંચવા તપાસ હાથ ધરી હતી. તપાસના આધારે મુખ્ય દોષિત નરાધમ મુમતાઝ ઉર્ફે આફતાબ સુબેદાર બનજારા, મુન્ના અબ્બાસ બનજારા અને શાહરૂખ કિસ્મતઅલી બનજારા ઉપરાંત મદદગારી કરનાર સૈફઅલી બનજારા અને અજમલ બનજારાની ધરપકડ કરવામાં આવી હતી.

