Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Suspected symptoms of Ebola virus were seen in a person who came from Congo

Vadodara news: કૉંગોથી આવેલા શખ્સમાં ઈબોલા વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાયા, અમદાવાદ સિવિલમાં કરાયો દાખલ

Timeછેલ્લું અપડેટ : 27 May 2026
લાઇવ ટીવીGoogle News
Vadodara news: કૉંગોથી આવેલા શખ્સમાં ઈબોલા વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાયા, અમદાવાદ સિવિલમાં કરાયો દાખલ
સોર્સ : Google

આફ્રિકન દેશો યુગાન્ડા અને કોંગોમાં ઈબોલા વાઈરસ આતંક મચાવી રહ્યો છે તેવામાં ગુજરાતમાં ઈબોલાનો પ્રથમ શંકાસ્પદ કેસ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કૉંગો, મુંબઈ થઈ વડોદરા આવેલો વ્યક્તિ એરપોર્ટ પર હેલ્થ સ્ક્રિનિંગમાં વધુ શંકાસ્પદ જણાયો હતો. જે બાદ તેને અમદાવાદ સિવિલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યો છે. હવે વડોદરાની આ શંકાસ્પદ વ્યક્તિના સેમ્પલ લઈ વધુ ચકાસણી માટે મોકલવામાં આવશે. મહત્વનું છે કે આફ્રિકન દેશોનો પ્રવાસ કરી ભારત પરત ફરતા લોકોને ઘરે હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

App Store

11 જેટલા મુસાફરોને હાલ તેમના ઘરે જ હોમ આઇસોલેશનમાં

આફ્રિકન દેશો યુગાન્ડા, દક્ષિણ સુદાન અને કોંગોમાં જીવલેણ ઇબોલા વાઇરસનો (Ebola Virus) પ્રકોપ વધતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું (AMC) આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. તકેદારીના ભાગરૂપે પ્રશાસન દ્વારા અમદાવાદમાં તમામ જરૂરી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ આફ્રિકન દેશોમાંથી અમદાવાદ આવેલા 11 જેટલા મુસાફરોને હાલ તેમના ઘરે જ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

ઇબોલાના લક્ષણ નહીં હોવાનો દાવો 

આરોગ્ય વિભાગના જણાવ્યાનુસાર, આ તમામ મુસાફરો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહે છે. હાલમાં આમાંથી એકપણ વ્યક્તિમાં ઇબોલાના લક્ષણો દેખાયા નથી, તેમજ તેઓ ત્યાં કોઈ પોઝિટિવ દર્દીના સંપર્કમાં પણ આવ્યા નથી. જો કે, સાવચેતીના પગલે હવે પછી આ ત્રણ દેશોમાંથી આવનારા તમામ મુસાફરો માટે હોમ આઇસોલેશન ફરજિયાત રહેશે. આ ઉપરાંત, કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદની એસવીપી (SVP) હોસ્પિટલમાં દર્દીઓને ક્વોરેન્ટાઇન કરવા માટે અલગથી 30 બેડનો વિશેષ વોર્ડ તૈયાર કરી દેવાયો છે.

ઇન્ટરનેશનલ મુસાફરો માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ફરજિયાત

ઇબોલા વાઇરસ (EVD)ને કારણે વૈશ્વિક સ્તરે જાહેર આરોગ્ય કટોકટીની આંતરરાષ્ટ્રીય ચિંતા (PHEIC) ઊભી થઈ છે. આ જોખમને ઘટાડવા માટે સિવિલ એવિએશન ડિરેક્ટોરેટ જનરલ (DGCA) અને મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન (MOCA) દ્વારા એરપોર્ટ પર તમામ એરલાઇન્સ માટે કડક નિયમો લાગુ કરાયા છે.  જેના અંતર્ગત એરપોર્ટ પર પ્રવેશતા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ (SDF) ભરવું ફરજિયાત રહેશે. એરપોર્ટ પર ભીડ ટાળવા અને સંક્રમણનું જોખમ ઘટાડવા માટે ફ્લાઇટ લેન્ડ થાય તે પહેલાં જ પ્લેનમાં આ અંગેની જાહેરાત કરીને ફોર્મ ભરાવી લેવામાં આવશે.

24 કલાક હેલ્થ સ્ટાફ તૈનાત

એરપોર્ટના આગમન વિસ્તારમાં 247 ફ્રન્ટલાઈન આરોગ્ય કર્મચારીઓ તૈનાત કરી દેવાયા છે. આગામી સમયમાં મુસાફરોની પ્રક્રિયા સરળ બનાવવા માટે મંત્રાલય દ્વારા ફરીથી એર સુવિધા પોર્ટલ શરૂ કરવામાં આવી શકે છે.

અમદાવાદ એરપોર્ટ પર સાંજે 6 થી સવારે 10 સુધી સઘન સ્ક્રીનિંગ

અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ખાસ કરીને આફ્રિકાના પ્રભાવિત દેશોમાંથી આવતા મુસાફરો પર વોચ વધારવામાં આવી છે. દરરોજ સાંજે 6 વાગ્યાથી લઈને સવારે 10 વાગ્યા સુધી યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાનથી આવતા તમામ મુસાફરોનું સઘન સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે, આ સ્ક્રીનિંગ માત્ર પ્રભાવિત દેશોના પેસેન્જરો માટે જ છે, સામાન્ય કે અન્ય દેશોના મુસાફરોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

કોંગોમાં ઇબોલાથી 80ના મોત

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોંગોમાં ઇબોલાના વધતા કેસોને પગલે ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે. કોંગોના ઇટુરી પ્રાંતમાં અત્યાર સુધીમાં ઇબોલાના કારણે 80 લોકોના મોત થયા છે અને 246 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. ત્યાં ગત 24 એપ્રિલે એક નર્સના મોત બાદ આ બીમારી ઝડપથી ફેલાઈ રહી છે.

રસી પણ બેઅસર થવાનું જોખમ

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ વખતે કોંગોમાં ઇબોલાનો બુંડીબુગ્યો સ્ટ્રેન મળ્યો છે. અગાઉ ત્યાં ઝાયર સ્ટ્રેન જોવા મળતો હતો. ચિંતાની વાત એ છે કે ઇબોલાની હાલની મોટાભાગની રસી અને સારવાર ઝાયર સ્ટ્રેનને ધ્યાનમાં રાખીને બનાવાયા છે, જેથી આ નવો સ્ટ્રેન તબીબો માટે મોટો પડકાર બની શકે છે.

શું છે ઇબોલા વાઇરસ અને તેનો ઇતિહાસ?

ઇબોલા વાઇરસ ડિસીઝ (EVD) સૌપ્રથમ 1976માં આફ્રિકાની ઇબોલા નદી નજીકના વિસ્તારમાં સામે આવ્યો હતો, જેના પરથી તેનું નામ ઇબોલા રાખવામાં આવ્યું છે. આ વાઇરસથી સંક્રમિત થનારા દર્દીઓમાં મૃત્યુદર 25% થી લઈને 90% જેટલો ઊંચો હોય છે. આ બીમારી સંક્રમિત વ્યક્તિના લોહી, ઉલટી, લાળ કે શરીરના અન્ય પ્રવાહી પદાર્થોના સીધા સંપર્કમાં આવવાથી ફેલાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ગભરાય નહીં પરંતુ વિદેશ પ્રવાસથી પરત ફરતી વખતે સ્વાસ્થ્ય સંબંધી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરે.