Vadodara News: પીએમ મોદીના રોડ શોમાં કાર્યકરોને લઈને આવનાર એસટી બસ ડ્રાઈવરનું હાર્ટએટેકથી મોત

ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી આજે બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. પીએમ મોદીના રોડ શો માટે વિવિધ વિસ્તારોમાંથી કાર્યકરો આવી શકે તે માટે એસટી વિભાગે બસો દોડાવી હતી. પીએમ મોદીના વડોદરાના રોડ શોમાં લોકોને લઈને આવનાર એક એસટી બસ ડ્રાઈવરનું મોત થયું છે. વડોદરામાં એસટી બસ ડ્રાઈવર મિતેષ જાડિયાનું હૃદય રોગના હુમલાને પગલે મોત થયું છે.
વડોદરામાં પીએમ મોદીના રોડ શો દરમિયાન ભારે ગરમીને પગલે અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો સ્થળ પર કાર્યકરોને લઇને આવેલા એસટી બસ ડ્રાઈવરને હાર્ટએટેક આવ્યો હતો. કાર્યકરોને ઉતારી બસમાં બેઠા હતા ત્યારે આ ઘટના બની હતી. અસહ્ય બફારા અને ગરમીના કારણે મિતેષભાઈને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે ગમગીની છવાઈ ગઈ છે.

