'વિકાસના નામે આદિવાસીની જમીન ઝૂંટવી લેવાય છે', આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનમાં રાહુલ ગાંધીના પ્રહાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી ત્રણ વાગ્યે તેઓ વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આવકારીને 'રાહુલ ગાંધી જિંદાબાદ'ના નારા લગાવ્યા હતા.
વડોદરા એરપોર્ટથી આજવા ચોકડી પાસે આવેલા દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે અંબાજીથી ઉમરગામ સુધી આવેલા આદિવાસી પટ્ટા ઉપર આદિવાસીઓના અધિકારો માટે લડતા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, સમાજના ઉત્થાન માટે કામ કરતા લીડરો અને પ્રબુધ્ધ નાગરિકો સાથે રાહુલ ગાંધી સીધો સંવાદ સાધી રહ્યા છે.
સભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે,હું આદિવાસી શબ્દથી શરૂઆત કરવા માગું છું. જો તમે 2000-3000 વર્ષ પહેલાં આવ્યા હોય તો તમામ જમીન આદિવાસીની હતી. તે બાબતે કોઈ વિવાદ નથી. તમારો ઇતિહાસ જમીન ગુમાવવાનો છે. ધીમે ધીમે તમને હટાવી દેવાયા.હવે 21મી સદીમાં RSS-BJP નવો શબ્દ લાવ્યા છે... વનવાસી... વનવાસીનો મતલબ કે તમે ઓરિજિનલ માલિક નથી. આદિવાસીનો મતલબ આ દેશ તમારો હતો, જળ, જંગલ અને જમીન તમારી માલિકીના હતા. વનવાસીનો મતલબ જળ, જંગલ અને જમીન તમારા નથી.
ભાજપના લોકો- મોદીજી બિરસા મુંડાજી સામે હાથ જોડે છે. આંબેડકરજી સામે હાથ જોડે છે, ફુલેજીની મૂર્તિ સામે હાથ જોડે છે. ગાંધીજીની મૂર્તિ સામે હાથ જોડે છે. પરંતુ બિરસા મુંડાજી જે બાબતે મૃત્યુ પામ્યા તેની રક્ષા નથી કરતા. વનવાસી એ બિરસા મુંડાની વિચારધારા પર પ્રહાર છે.
હું જાતિ જનગણનાની વાત જ્યારે કરું છું ત્યારે આરએસએસ, મોદીજી અને ભાજપના લોકો મારા પર આક્રમણ કરે છે. દેશમાં જ્યારે પણ વિકાસની વાત આવે છે ત્યારે સીધી આદિવાસીની જમીન ઝૂંટવી લેવામાં આવે છે. સ્ટેચ્યૂ બનાવવું છે આદિવાસીની જમીન ઝૂંટવો, માઇન ખોલવી છે તો આદિવાસીની જમીન ઝૂંટવો મતલબ કે તમારો કોઈ અધિકારી નથી.

