Vadodara news: ગણપતિની મૂર્તિ પર ઈંડા ફેંકનાર આરોપીને પોલીસે ઝડપી લીધા

વડોદરા શહેરના પાણીગેટ માંડવી રોડ પરથી માંજલપુરના શ્રીજીની આગમન યાત્રા પસાર થઇ રહી હતી ત્યારે ગત રાત્રીના ત્રણ વાગે મદાર માર્કેટ નજીક બન્ને તરફથી ઇંડા ફેંકવામાં આવ્યા હોવાની ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ધાર્મિક લાગણી દુભાવાના અને શહેરની શાંતિને પલિતો ચાંપવાની આ ઘટનામાં સંડોવાયેલાને ઝડપી પાડવા શહેર પોલીસ તંત્રની વિવિધ બ્રાન્ચો દ્વારા 12 ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.
સીસીટીવી સહિતના સોર્સને કામે લગાડી તપાસ હાથ ધરતા આ ગુનામાં વાડી ખાનકાહે મહોલ્લામાં રહેતા સુફિયાન ઉર્ફે ગામા સલીમભાઇ મન્સુરી, શાહનવાઝ ઉર્ફે બડબડ મહોમદ ઇર્શાદ કુરેશી અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરની અટકાયત કરી સઘન પુછપરછ હાથ ધરી હતી. કટ્ટરવાદીઓએ મજાક મસ્તીમાં આવી ટીખળ કરવાના ઇરાદે ઇંડા ફેંક્યા હોવાની કબુલાત કરી છે.
જોકે પોલીસે તેઓ કેટલું સાચું બોલે છે તે દિશામાં તપાસ હાથ ધરી હતી. મોડી રાતની આ ઘટના છે. જેમાં શહેરના ગધેડા માર્કેટથી શ્રીજીની પ્રતિમા લઇને માંજલપુરના યુવકો જતા હતા ત્યારે મૂર્તિને નિશાન બનાવી તેના પર ઈંડા ફેંકતા ગણેશ ભક્તોમા રોષ ભભુકી ઉઠ્યો હતો. પોલીસે ગણતરીની મિનિટોમાં સ્થળ પર દોડી જઈ સ્થિતિ વણશે તે પહેલા કાબુમા લઇ લીધી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આ મામલે સંડોવાયેલા એક સગીર સહિત ત્રણ કટ્ટારવાદીઓને ઝડપી લીધા છે.

