VIDEO: વડોદરામાં સામૂહિક સિદ્ધિતપનો આજે મંગલ પ્રારંભ, પચ્ચખાણ સમારોહ યોજાયો
વડોદરા શહેરના આજવા રોડ સ્થિત શ્રી ઇન્દ્રપુરી જૈન સંઘના ઉપક્રમે ભવ્ય સામૂહિક સિદ્ધિતપનો આજે મંગલ પ્રારંભ થયો છે. ધર્મમય અને ભક્તિમય વાતાવરણ વચ્ચે મોટી સંખ્યામાં જૈન શ્રાવક-શ્રાવિકાઓની ઉપસ્થિતિમાં પચ્ચખાણ સમારોહ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમમાં ભક્તિ, આરાધના અને તપની અનોખી છટા જોવા મળી હતી. શ્રી ઇન્દ્રપુરી જૈન સંઘ દ્વારા આયોજિત આ સામૂહિક સિદ્ધિતપ મહાતપમાં વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓ જોડાયા હતા. 3 ઓગસ્ટની સાંજે ઉત્તરપારણાના કાર્યક્રમ બાદ આજે ઇન્દ્રપુરી આરાધના ભવન, મહાવીર હોલ ચાર રસ્તા પાસે પચ્ચખાણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સંગીતના મધુર સથવારે યોજાયેલા સમારોહમાં ચતુર્મુખ ભગવાન સમક્ષ આચાર્ય ભગવંતોના મુખેથી શ્રેષ્ઠ અને શુભ મુહૂર્તમાં સામૂહિક પચ્ચખાણ લેવડાવવામાં આવ્યું અને સિદ્ધિતપનો મંગલ પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

