VIDEO: સાબર ડેરી બાદ બરોડા ડેરીનો આંતરિક વિવાદ સામે આવ્યો, ડિરેક્ટર અને ધારાસભ્ય સામ સામે
સાબર ડેરીના વિવાદ વચ્ચે હવે બરોડા ડેરીનો વિવાદ પણ ચરમસીમાએ પહોંચ્યો છે. બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી દ્વારા કરવામાં આવેલી એક ચેલેન્જ બાદ ડેરીનો આંતરિક વિવાદ વકર્યો છે. ડેસર APMC ના પૂર્વ ચેરમેન રાજેશ પટેલે કુલદીપસિંહ રાઉલજી પર અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. રાજેશ પટેલે ખુદ પોતે બોગસ મતદાનનો ભાગ બન્યા હોવાનું સ્વીકારતા સનસનાટી મચાવી છે.
મારા નામે ખોટી પાવતી હોઈ શકે
ડેસરની રાજપુર દૂધ મંડળીમાં ગેરરીતિ થઇ હોવાના આરોપો ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી સામે કરવામાં આવ્યા છે. આ આરોપોને પગલે આજે રાઉલજી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે, મારા નામની ખોટી પાવતી હોઇ શકે. બેન્કમાં એન્ટ્રી થઇ હોય કે અન્ય પૂરાવો હોય તો રજૂ કરે. તેમણે આ સાથેજ ધારાસભ્ય ઇનામદાર પર ગંભીર આક્ષેપો પણ કર્યા હતા.
બરોડા ડેરીની ચૂંટણીના કારણે ખોટી ફરિયાદ
બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, રાજપુર દૂધ મંડળીમાં મારા નામની પાવતી ખોટી હોઈ શકે. પરંતુ, બેંકમાં મારા નામની એન્ટ્રી બતાવો, પુરાવો બતાવો. રાજપુર દૂધ મંડળીમાં હું સભ્ય નથી કે મારું દૂધ પણ ભરાતું નથી. તાલુકા પંચાયતના સદસ્ય આગામી આવી રહેલી બરોડા ડેરીની ચૂંટણીના કારણે મારી સામે ખોટી ફરિયાદ કરી રહ્યા છે.
સાવલીના ધારાસભ્ય બધું કરાવે છે
બરોડા ડેરીના ડિરેક્ટરે જણાવ્યું હતું કે, આગામી ડિસેમ્બર-2025માં બરોડા ડેરીની ચૂંટણી આવતી હોવાથી મારા વિરોધીઓ સક્રિય થઇ ગયા છે. આ બધું સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર કરાવી રહ્યા છે. સાવલી તાલુકામાં વિકાસ કામો થતાં નથી અને મોટાપાયે ગેરકાયદેસર કામો અને ભ્રષ્ટાચાર થઇ રહ્યા છે તે મુદ્દે કંઈ બોલતા નથી.
કુલદીપસિંહ રાઉલજીએ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર ગંભીર આક્ષેપો કર્યા છે. રાઉલજીએ પ્રશ્ન કર્યો છે કે કોટના, ભાદરવા, પોઈચા, જૂના કનોડા સહિત અનેક વિસ્તારોમાં રેતી ખનન થઈ રહ્યું હોવા છતાં ધારાસભ્ય શા માટે કઈ બોલતા નથી. સાવલી નગરપાલિકામાં પણ બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
ડેસર તાલુકા પંચાયતના સભ્ય રાજદીપસિહ સોઢાએ પોલીસ મથકમાં આપેલી અરજીમાં જણાવ્યું હતું કે, કુલદીપસિંહ બરોડા ડેરીમાં ડિરેક્ટરપદે છે. તેઓ ઘણાં સમયથી વડોદરામાં રહે છે. પશુપાલન કરતા નથી કોઈ દૂધાળ પશુ પણ નથી તેમ છતાં રાજપુર દૂધ મંડળીના મંત્રીઓ સાથે સાંઠગાંઠ કરીને ભ્રષ્ટાચાર કરાયો હોવાનું સ્પષ્ટ જણાય છે. આમાં તટસ્થ રીતે પોલીસ તપાસ થવી જોઈએ.

