'17 વર્ષ ડિરેક્ટર રહ્યા છતાં પેટ નથી ભરાતું', બરોડા ડેરીના સત્તાધીશો સામે ભાજપના ધારાસભ્યે મોરચો માંડ્યો
વડોદરાની બરોડા ડેરીના સત્તાધીશો સામે સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઇનામદારે મોરચો માંડ્યો છે. સાવલી ખાતે આયોજિત કાર્યક્રમમાં તેમણે ડેરીના વર્તમાન બોર્ડને આડે હાથ લેતા સ્પષ્ટ કર્યું કે, ઓડિટમાં તમામ ગેરરીતિઓ બહાર આવી ગઈ છે અને ગંભીર ભૂલ કરનારાઓએ પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.ઇનામદારે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સરકાર કોઈ પણ ગેરરીતિ ચલાવી લેવા માંગતી નથી અને આગામી સમયમાં બરોડા ડેરીમાં ભાજપનું નવું બોર્ડ શાસન સંભાળશે.
વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે વર્ષ 2022માં કરેલી જાહેરાતને પુનઃ યાદ અપાવતા રાજકારણ વધુ એક વખત ગરમાયું છે. કેતન ઇનામદારે જાહેરાત કરી છે કે, હું આગામી 2027ની વિધાનસભાની ચૂંટણી નહીં લડું. પણ સાવલીના પ્રજાના દિલમાં હંમેશા રહીશ.
બરોડા ડેરીની ચૂંટણીના વિવદને લઇને પણ ઇનામદારે કહ્યું કે, 76બીની નોટિસને કારણે એવી સ્થિતિ ઉભી થઈ છે કે જેમાંથી જીવનભર બહાર આવવું મુશ્કેલ બને છે. સાથે જ કુલદીપસિંહ રાઉલજી પર આકરા પ્રહાર કરતા તેમણે કહ્યું કે 2009થી 2026 સુધી તમે ડિરેક્ટર તરીકે રહ્યા, હવે બીજાને તક આપો.. 17 વર્ષ ડિરેક્ટર રહ્યા છતાં શું પેટ નથી ભરાયું? ઉપરાંત તેમણે સ્પષ્ટ કર્યું કે કેતન ઇનામદાર અથવા તેમના પરિવારના કોઈપણ સભ્ય બરોડા ડેરીની ચૂંટણી લડશે નહીં.

