Vadodra news: સિસ્ટમમાં જીવિત વ્યક્તિ મૃત, સરકારી ચોપડે ફરી જીવિત કરવાના કર્મચારીએ માંગ્યા 20 દિવસ!

સરકારી વ્યવસ્થામાં ખામીના કારણે જીવતો માણસ કાગળ પર મૃત દર્શાવાયો હોવાનો ચોંકાવનારો કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. એટલું જ નહીં માણસ જીવીત હોવા છતાં તેને સરકારી ચોપડે જીવીત કરવા માટે 20 દિવસનો સમય લાગશે એવો જવાબ આપવામાં આવ્યો હતો. વડોદરામાં કાપડનો વેપાર કરતા જીયાઉલ રહેમાન હનીફભાઈ કચ્છી રેશનકાર્ડ ખોવાઈ જવાથી નવું કઢાવવા માટે સોમવારે નર્મદાભવન સ્થિત કચેરીએ પહોંચ્યા હતા.
કાપડના વેપારીને કર્મચારીએ કહ્યું તમારા પિતા તો મૃત છે
બપોરે 12 થી 2 વાગ્યા સુધી કતારમાં ઉભા રહ્યા બાદ તેમનો નંબર આવ્યો તો ખબર પડી કે તેમનું રેશનકાર્ડ બંધ થઈ ગયું છે. જેથી તેમને કર્મચારીએ નવું રાશનકાર્ડ કઢાવવા માટે બીજુ ફોર્મ ભરવાનું જણાવ્યું હતું. જોકે બીજુ ફોર્મ ભરીને ફરીથી લાઈનમાં ઉભા રહેલા યુવકને રેશનકાર્ડને લગતી કામગીરી પૂરી થઈ ગઈ હોવાથી બીજા દિવસે આવવાનું જણાવ્યું હતું. જીયાઊલ રહેમાન મંગળવારે સવારે 11 વાગે જ નર્મદાભવન પહોચી ગયા હતાં. અને બપોરે પોણા એક વાગે તેમનો નંબર આવતા ફોર્મની એન્ટ્રી કરીને તેઓ કર્મચારી પાસે પહોચતા જ કર્મચારીએ જણાવ્યું હતું કે, ‘સિસ્ટમમાં તો તમારા પિતાને મૃત વ્યક્તિ બતાવી રહ્યા છે.’ આ સાંભળીને પુત્રને થોડો આંચકો લાગ્યો, અને યુવકે કહ્યું કે મારા પિતા તો જીવિત છે, અને ઘરે છે. તેમજ તેમના આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડ પણ એક્ટિવ છે, પિતાના તમામ ડોક્યુમેન્ટ પણ આપ્યા છે.
કર્મચારીએ યુવકને કહ્યું ‘ મારી જોડે બહેસ ન કરો’
કર્મચારીએ યુવકને કહ્યું ‘ મારી જોડે બહેસ ન કરો’ તેમ કહીને પિતાને લઈને આવીને તેમના ફિંગર પ્રિન્ટ સ્કેન કરાવીને કલેક્ટર કચેરીમાં ફોર્મ ભરીને એપ્રુવલ લઈને આવો તેમ જણાવી દિધું હતું. આ સમગ્ર ઘટના બાદ પુત્રએ ઘરે જઈને પિતાને આ સમગ્ર વાત કરી હતી. જેથી 63 વર્ષીય પિતા હનીફ બશીરભાઈ કચ્છી બુધવારના રોજ સવારે કલેક્ટર કચેરી પહોચ્યાં હતાં. જ્યાં તેમને મહિલા કર્મચારીએ સાંભળીને તેમનું ફોર્મ ભરાવડાવ્યું હતું.
જ્યારે હનીફભાઈએ હવે તો રાશનકાર્ડ નીકળશે ને તેમ પુછતા મહિલા કર્મચારીએ તેમણે જણાવ્યું હતું કે, ‘ સરકારી સીસ્ટમમાં મરણ વ્યક્તિને જીવિત કરતા 20 દિવસ થશે.’ અને ત્યારબાદ બીજા 20 દિવસ પછી નવા રાશનકાર્ડ માટે પ્રોસેસ કરી શકસે, અને 15 દિવસ બાદ નવું રાશનકાર્ડ બનીને આવશે તેમ જણાવ્યું હતું. ‘ટેકનિકલ ખામીના કારણે સમસ્યા’ જવલ્લેજ આ પ્રકારના કેસ આવતા હોય છે, જેમાં પણ ટેકનીકલ કારણો સર સમસ્યા સર્જાઈ હોઈ શકે છે, જેનું પણ તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવ્યું છે. - ગીતાબેન દેસાઈ, પુરવઠા અધિકારી
ધીમી કામગીરી, સર્વરની સમસ્યાથી લોકોને હેરાનગતિ કલેક્ટર તંત્ર દ્વારા ચારેય મામલતદાર કચેરીઓમાં રાશનકાર્ડને લગતી કામગીરી ચાલી રહી છે. આ કામગીરી ધીમી હોવા ઉપરાંત સર્વર ખોટકાવવાની સહિતની અનેક સમસ્યાઓ યથાવત રહી છે, જેના કારણે લોકો પણ વારંવાર તંત્ર સામે રોષે ભરાતા હોય છે.

