Surendranagar news: સબજેલમાં કેદીઓ વચ્ચે હિંસક અથડામણ, ત્રણ ઇસમો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ

સુરેન્દ્રનગરની સબજેલ પોતાની કામગીરીને લઈ અને વારંવાર વિવાદમાં આવી રહી છે, સુરેન્દ્રનગરની સબ જેલમાં ક્ષમતા કરતા વધુ કેદીઓ ભરવામાં આવ્યા હોવાના કારણે કેદીઓની અંદરો અંદરની ઘર્ષણની ઘટનાઓ વધી છે. ત્યારે કેદીઓની અંદરો અંદર ઘર્ષણની ઘટનાઓ વધી છે. ફરી એક વખત સુરેન્દ્રનગરની સબ જેલમાં સજા કાપી રહેલા કેદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને ગંભીર રીતે કેદીઓ ઘવાયા હોવાના કારણે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા છે.
જેલમાં ક્ષમતા કરતાં વધુ કેદીઓ
ઘાતક હથિયારોથી હુમલો કરવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તબક્કામાં સામે આવ્યું છે. યાકુબ પઠાણ, અજીત મકવાણા અને ચેતનસિંહ નામના કેદી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં તેમને ઇમર્જન્સી વિભાગમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 125 કેદીઓની ક્ષમતા ધરાવતી સબ જેલમાં હાલમાં 300 થી વધુ કેદીઓને રાખવામાં આવ્યા છે. ધાંગધ્રા સબજેલ બંધ કરવામાં આવી હોવાના કારણે ત્યાંના કેદીઓને પણ સુરેન્દ્રનગરની સબ જેલમાં મૂકવામાં આવ્યા છે, જેથી ઘર્ષણ ઘટનાઓ બની રહી છે.
સિવિલ હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાઈ
હાલમાં સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ પણ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ છે. કારણ કે જે કેદીઓ છે તે ગંભીર ગુનાના આરોપીઓ હોવાનું સામે આવ્યું છે. આ કેદીઓ સિવિલ હોસ્પિટલમાંથી નાસી ન જાય તે માટે સ્પેશિયલ સીટી પોલીસ મથકના પીએસઆઇ સહિતના સ્ટાફને બંદોબસ્ત માટે મૂકવામાં આવ્યો છે અંદરો અંદર હુમલો કર્યા હોવાનું સામે આવતા હાલમાં તપાસના ચક્રો પણ ગતિમાન કરવામાં આવ્યા છે. અધિકારીઓ પણ સબજેલમાં દોડી જઈ અને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
જેલમાંથી બહાર આવવા કેદીઓ દ્વારા હુમલો કરાયો હોવાનું અનુમાન
રીઢા ગુનેગારોને સવલત ન મળતી હોવાના કારણે જેલનું તંત્ર બગાડવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેને લઈને જેલમાં ઘાતક હથિયારોથી સામસામે હુમલો કરી અને જેલમાંથી બહાર આવવા માટે કાવતરું રચવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તબક્કામાં સામે આવતા સીટી પોલીસે આ મુદ્દે પણ વધુ તપાસ કરી છે.
જેલની અંદર કાયદો વ્યવસ્થા બગાડતા કેદીઓનું ટ્રાન્સફર કરાશે
જેલની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળાવતા કેદીઓનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આ મુદ્દે જેલતંત્રના અધિકારીઓ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆત કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા અને જેલનું તંત્ર બગાડતા કેદીઓને ટૂંક સમયમાં અમદાવાદ સાબરમતી અને અન્ય જેલોમાં ખસેડવા અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવશે, તેવા સમાચાર મળી રહ્યા છે .

