Video: Surendranagar માં શેરબજારમાં રોકાણના નામે લોકોને લગાવ્યો ₹ 1.35 કરોડનો ચૂનો, પોલીસે કરી અટકાયત
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં 'એક ના ડબલ' કરી આપવાની લાલચ આપીને લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાડવાના એક મોટા પોન્ઝી સ્કીમ (Ponzi Scheme) કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ સ્કીમમાં 30 થી વધુ લોકો ભોગ બન્યા હોવાનો ધડાકો થયો છે.
કૌભાંડનો ભોગ બનેલા લોકોએ ન્યાય મેળવવા માટે પોલીસનો સંપર્ક કર્યો હતો અને રજૂઆત કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ, લોકોએ માત્ર ઊંચા વળતરની લાલચમાં આવીને ઘરેણાં અને મકાનો ગીરવે મૂકીને પણ યુવકને નાણાં આપ્યા હતા.
આરોપી યુવક, પ્રશાંત વાઘેલા, કુલ ₹ 1.35 કરોડની રકમનું કૌભાંડ આચરીને ફરાર થઈ ગયો હતો. જોકે, ધ્રાંગધ્રા પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેની અટકાયત કરી છે.
પોલીસે આરોપી પ્રશાંત વાઘેલાના પાંચ દિવસના રિમાન્ડ મેળવીને તેની પૂછપરછ શરૂ કરી છે. DYSP ધ્રાંગધ્રા, જે.ડી. પુરોહિતે જણાવ્યું હતું કે આરોપીએ શેર બજારમાં રોકાણના નામે લોકો સાથે છેતરપિંડી કરી હતી.

