સુરેન્દ્રનગર: પૂર્વ કેબિનેટ મંત્રીના ફાર્મહાઉસ પર ફાયરીંગ કરીને 3 શખ્સો ફરાર, એન્ટ્રી ગેટ પાસે તોડફોડ પણ કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક ફાયરિંગની ઘટના સામે આવી છે, ફાયરિંગની ઘટના બનતા સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડતા જોવા મળ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા બાયપાસ રોડ આવેલા પ્રકૃતિ કુંજ ફાર્મ ફાઉસ પર ફાયરિંગની ઘટના બની છે. પ્રાથમિક માહિતી અનુસાર આ ફાર્મ હાઉસ રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાનું છે.
કેટલાક રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા
ફાર્મહાઉસના દરવાજા પાસે કારની ટક્કર મારીને તોડફોડ પણ કરી હતી. કેટલાક રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ફાર્મ હાઉસ પર દોડી ગયો હતો.
ત્રણ શખ્સો સામે ફરિયાદ દાખલ
પોલીસે રાજદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, હરદીપસિંહ લખુભા ઝાલા અને એક અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કર્યો છે. તો બીજી તરફ પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ શખ્સોએ શા માટે ફાયરિંગ કર્યું હતું, અંગત અદાવત કે કોઈ અન્ય કારણ છે.

