VIDEO: સુરેન્દ્રનગરમાં વરસાદી આફત: ૨૩૬ મકાનો ધરાશાયી અને ૧૦૦થી વધુ ગામો સંપર્કવિહોણા
સોર્સ : gstv
સુરેન્દ્રનગરમાં મેઘરાજાના વિરામ બાદ સરકારી તંત્ર દ્વારા વરસાદી નુકસાનીનો ચોંકાવનારો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. ભારે વરસાદ અને જળબંબાકારના કારણે જિલ્લામાં કુલ ૨૩૬ જેટલા કાચા-પાકા મકાનો તૂટી પડ્યા છે, જેમાં એકલા વઢવાણ વિસ્તારમાં જ ૪ પાકા મકાનોને ગંભીર નુકસાન પહોંચ્યું છે. આ કુદરતી આફતમાં પાણીમાં ડૂબી જવાના કારણે ૩૪ મૂગા પશુઓના કરૂણ મોત નીપજ્યા છે. તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને ૫૪૨ લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું હતું, જેમાંથી પૂરના પાણીમાં ફસાયેલા ૪૨ લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયું હતું. સતત વરસાદને કારણે પંચાયતના ૨૨ જેટલા મહત્વના માર્ગો છેલ્લા ૩ દિવસથી બંધ છે, જેના પરિણામે ૧૦૦થી વધુ ગામોનો સંપર્ક પ્રભાવિત થયો છે. ખાસ કરીને લખતર, દસાડા અને લીંબડી તાલુકાઓ આ વરસાદની સૌથી વધુ વિપરીત અસર હેઠળ આવ્યા છે.

