Surendranagar/ લીંબડીમાં જાહેરમાં હત્યા કરનારાઓનું પોલીસે ભરબજારમાં કાઢ્યું સરઘસ
સુરેન્દ્રનગર (લીંબડી): તહેવારના માહોલ વચ્ચે લીંબડીના ભરબજારમાં બનેલી હિતેશ સુરેલા નામના આધેડની હત્યાના કેસમાં પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પ્રેમલગ્નનું મનદુઃખ રાખીને કરવામાં આવેલી આ ઘાતક હત્યાના 6 આરોપીઓને પોલીસે દબોચી લીધા છે અને આજે ઘટનાસ્થળે તેમનું જાહેરમાં રી-કન્સ્ટ્રક્શન કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.
શું હતી સમગ્ર ઘટના?
લીંબડીના મુખ્ય બજારમાં હિતેશ સુરેલા નામના આધેડ પર 6 શખ્સોએ છરી અને ધોકા જેવા ઘાતક હથિયારો વડે તૂટી પડ્યા હતા. જૂના પ્રેમલગ્નનું મનદુઃખ રાખીને આરોપીઓ અવારનવાર બોલાચાલી કરતા હતા, જે અંતે લોહિયાળ જંગમાં પરિણમી હતી. ચોંકાવનારી વાત એ છે કે જ્યારે આ હત્યા થઈ રહી હતી ત્યારે આસપાસના લોકો વીડિયો ઉતારતા રહ્યા હતા, પરંતુ કોઈ આધેડને બચાવવા આગળ આવ્યું નહોતું.
પોલીસની કડક કાર્યવાહી અને રી-કન્સ્ટ્રક્શન
હત્યાના આ બનાવ બાદ સમગ્ર પંથકમાં ભય અને રોષનો માહોલ હતો. સુરેન્દ્રનગર પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હત્યામાં સામેલ તમામ 6 હત્યારાઓની ધરપકડ કરી લીધી હતી. ગુનેગારોમાં પોલીસનો ડર રહે અને સમાજમાં દાખલો બેસે તે હેતુથી આજે પોલીસે લીંબડી બજારમાં આરોપીઓને સાથે રાખીને ક્રાઈમ રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું.
આ કાર્યવાહીથી લીંબડીના વેપારીઓ અને સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની ગુંડાગીરી ચલાવી લેવામાં આવશે નહીં અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવા પ્રયાસો કરવામાં આવશે.

