VIDEO: સ્વતંત્રતા પર્વે ધ્રાંગધ્રા તાલુકાની પાયલ બનશે રાષ્ટ્રપતિ ભવનની વિશેષ અતિથિ, PM મોદી પણ 'મન કી બાત'માં કરી ચૂક્યા છે વખાણ
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામની પાયલ મુંજપરાએ સેવા સંગઠન સાથે સોલર પીવી ટેકનિશિયનની તાલીમ લીધી અને ગ્રામીણ યુવતીઓને કૌશલ્ય અને રોજગાર માટે માર્ગદર્શન આપી હરિત ઊર્જાના ક્ષેત્રે નવી દિશા આપી હતી. આ સેવાકીય કાર્યને કેન્દ્ર સરકારે બિરદાવી 'સોલર ગર્લ' પાયલ મુંજપરા 15મી ઓગસ્ટે દિલ્હી લાલ કિલ્લાના મંચ પર અને રાષ્ટ્રપતિ ભવન ખાતે 'વિશેષ અતિથિ' તરીકેનું આમંત્રણ મળ્યું છે. પુરુષપ્રધાન ટેકનિકલ ક્ષેત્રમાં નિપુણતા મેળવી પાયલે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'ના 132મા એપિસોડમાં પણ પાયલના કાર્યોના વખાણ કર્યા હતા. 'જન ભાગીદારી' અભિગમ હેઠળ દેશ નિર્માણમાં યોગદાન બદલ પાયલને રાષ્ટ્રીય સમારોહમાં વિશેષ આમંત્રણ અપાયું છે. પાયલની સફળતાથી સુરેન્દ્રનગર અને ગુજરાતનું ગૌરવ વધ્યું છે, સાથે જ ભરાડા ગામમાં પણ ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે.

