Surendranagr news: EDના દરોડા બાદ કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, નજીકના ગણાતા અધિકારીઓ પણ હવે રડારમાં

ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની બદલી બાદ હવે કલેક્ટર કચેરીના અન્ય અધિકારીઓ પર ગાજ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે. ખાસ કરીને કલેક્ટરના નજીકના ગણાતા ચિટનીસ અધિકારી, જેમને સીટી મામલતદારનો વધારાનો ચાર્જ સોંપાયો છે, તેઓ હવે શંકાના દાયરામાં આવ્યા છે...સૂત્રોના જણાવ્યા અનુસાર, પાટડી તાલુકામાં બોગસ ખેડૂત ખાતેદારો બનાવવાના કૌભાંડમાં આ અધિકારીઓની સંડોવણી હોવાની આશંકા છે. એટલું જ નહીં, આવક કરતા વધુ સંપત્તિ ધરાવવાના મામલે ટૂંક સમયમાં ACB પણ તપાસનો ધમધમાટ શરૂ કરી શકે છે.
નજીકના અધિકારીઓ પણ રડારમાં
સુરેન્દ્રનગરના કલેકટરનું કથિત 1500 કરોડના જમીન NA કૌભાંડમાં નામ ચર્ચામાં આવતા ગુજરાત સરકારે તાત્કાલિક અસરથી ડૉ. રાજેન્દ્ર પટેલની બદલી કરી છે. તેમને હાલ વેઇટિંગ ઇન પોસ્ટિંગ પર મૂકી દેવાયા છે. તેમની આગામી આદેશ સુધી, એટલે કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ ચાર્જ સોંપવામાં આવ્યો નથી.
કે.એસ. યાજ્ઞિકને આગામી નિર્દેશ સુધી સુરેન્દ્રનગરના કલેક્ટર પદનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો
હાલ સુરેન્દ્રનગરના જિલ્લા વિકાસ અધિકારી (DDO) કે.એસ. યાજ્ઞિકને આગામી નિર્દેશ સુધી સુરેન્દ્રનગરના કલેક્ટર પદનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. મહત્વનું છે કે ACBએ આજે કલેકટર રાજેન્દ્ર પટેલ ઉપરાંત નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના અંગત સચિવ જયરાજસિંહ ઝાલા સામે લાંચ-રૂશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો દાખલ કર્યો છે.

