VIDEO: પાણીની અછત વચ્ચે તંત્રના વાંકે લાખો લીટર પાણીનો બગાડ
સુરેન્દ્રનગરના રતનપરમાં તંત્રના પાપે સ્થાનિકોને હાલાકી અને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. જ્યાં એક તરફ સમગ્ર શહેર પાણીના એક-એક ટીપાં માટે વલખાં મારી રહ્યું છે, ત્યાં બીજી તરફ સરકારી તંત્રની લાપરવાહીને કારણે લાખો લીટર પીવાનું પાણી રસ્તાઓ પર વહી ગયું. રતનપર બાયપાસ રોડ પર આવેલી પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં અચાનક મોટું ભંગાણ સર્જાયું હતું. પાઇપલાઇન ફાટવાને કારણે હજારો-લાખો લીટર પાણી જોતજોતામાં રોડ પર ફરી વળ્યું હતું. આ પૂર જેવા દ્રશ્યોને કારણે સ્થાનિક વેપારીઓ માટે ભારે મુશ્કેલી ઊભી થઈ હતી. આસપાસની દુકાનોમાં પાણી ભરાઈ જવાને કારણે વેપારીઓનો કિંમતી માલસામાન પલળી ગયો હતો, જેને લીધે તેમને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. રોડ પર પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો.હાલમાં સુરેન્દ્રનગર શહેરમાં નાગરિકોને દર ત્રણ દિવસે માંડ પીવાનું પાણી મળી રહ્યું છે. ત્યારે આવી બેદરકારીથી સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે.

