સુરેન્દ્રનગરમાં સી યુ શાહ હોસ્પિટલની બેદરકારીથી યુવતીનું મોત, પિતાએ આક્ષેપ સાથે મુખ્યમંત્રી સુધી કરી રજૂઆત

સુરેન્દ્રનગરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં હોસ્પિટલની બેદરકારીને કારણે એક યુવતીનો જીવ ગયો હોવાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગર શહરેમાં સી યુ શાહ હોસ્પિટલની બેદરકારીથી યુવતીનો જીવ ગયો હોવાનો પિતાએ આક્ષેપ લગાવ્યો છે. પરીવારે મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી, સાંસદ ધારાસભ્ય, જીલ્લા પ્રમુખ, કલેક્ટર, એસપી સહીતના સત્તાધિશોને હોસ્પિટલની બેદરકારીના આ ગંભીર મુદ્દે રજુઆત કરી છે. તેમજ ન્યાય માટે માંગ પણ કરી છે જેથી અન્યના પરિવાર સાથે આ પ્રકારની ઘટના ન થાય.

'ડાયાબીટીસની દર્દી હતી છતાં ડોક્ટરે યોગ્ય સારવાર ન આપી' - પરિવાર
મળતી માહિતી પ્રમાણે, કલ્યાણી ખોખર નામક યુવતી ડાયાબીટીસની દર્દી હતી તેમજ તેણીની સુગર ઘટી ગયું હતું જેની પરીવારે ડોક્ટરને જાણ કરી હતી તેમ છતાં પણ ડોક્ટર દ્વારા યોગ્ય સારવાર ન અપાઇ. 5 મિનિટમાં ડાયાલીસીસ રુમથી આઇસીયુ રુમ તરફ લઈ જતી વખતે આ બનાવ બન્યો હતો. પરિવાર દ્વારા સીસીટીવીની માંગણી પણ કરવામાં આવી છે. વધુમાં પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો હતો કે, આઇસીયુ 8માં માળે તો મેડિસિન વિભાગ ભોંયતળીયે આમ કરીને પરીવારને ધક્કા ખવડાવી થકવી દીધા છે.

