સુરેન્દ્રનગરમાં બેફામ ડમ્પરોને લીધે 24 કલાકમાં 3 અકસ્માતમાં 9નાં મોત

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી ડમ્પર અને મોટા વાહનો માથાનો દુખાવો બની ચુકયા છે. જેના લીધે જનતાને સહન કરવાનો વારો આવ્યો છે. સાક્ષાત મોતના દૂત બનીને રોડ પર દોડી રહેલા ડમ્પરો નાના બાળકોથી લઈ મોટેરાઓ સુધીના લોકોને પોતાનો ભોગ બનાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગરમાં ત્રણ અકસ્માત સર્જાઈ ચુક્યા છે. આ ગમખ્વાર અકસ્માતમાં અત્યાર સુધી ત્રણ લોકો કાળનો કોળિયો બની ગયા છે.
સુરેન્દ્રનગરમાં બેફામ દોડતા ડમ્પરો અને મોટા વાહનો સામે લગામ ક્યારે?
રોડ-સેફ્ટી અને માર્ગ સલામતીના કાર્યક્રમ માત્ર કાગળ પર વાહનચાલકો પર તેની કોઈ અસર ન પડતી હોવાનો ઘાટ સર્જાયો છે. સુરેન્દ્રનગરમાં દિવસેને દિવસે સતત અકસ્માતોની વણઝાર સર્જાઈ છે. ગામડા તો ઠીક પરંતુ હવે શહેરના વિસ્તારોમાં પણ ડમ્પરો અને મસમોટા વાહનો પૂરપાટ જતા હોવાથી જનતાએ આવા વાહનો સામે પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠાવી છે. ઓવરલોડ ખનીજ ભરેલા ડમ્પરો અને મોટા વાહનો સામે કાર્યવાહીની જનતાએ માગ ઉઠાવી છે. સુરેન્દ્રનગર જિલ્લા સહિત ગ્રામ્યમાં છેલ્લા 12 કલાકમાં ડમ્પરની અડફેટે 15 લોકોથી વધુ ઈજાગ્રસ્ત થયા છે. જેથી ડમ્પર લોકો માટે મોતનું સાધન બન્યા હોવાથી ડમ્પર પર લગામ કસવાની માંગ ઉઠી છે.

