VIDEO: Surat/ રાંધણ ગેસના અભાવે શ્રમિકો બેહાલ; ખાવા-પીવાની મુશ્કેલી સર્જાતા હજારો પરપ્રાંતિઓ વતન તરફ રવાના
સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા ઉધના અને પાંડેસરામાં વસતા હજારો પરપ્રાંતીય શ્રમિકો માટે અત્યારે જીવનનિર્વાહ મુશ્કેલ બની ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં ચાલી રહેલી રાંધણ ગેસની તીવ્ર અછતના કારણે કંટાળીને શ્રમિકોએ હવે પોતાના વતન તરફ રવાના થવાનું શરૂ કર્યું છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસરને પગલે ગેસના સપ્લાયમાં આવેલી રુકાવટને કારણે સુરતનો શ્રમિક વર્ગ ભૂખે મરવા જેવી નોબત પર આવી ગયો છે.
ઉધના રેલવે સ્ટેશન પર વતન જવા માટે ટ્રેનની રાહ જોઈ રહેલા મુસાફરોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેઓ અહીં ભાડાના મકાનોમાં રહીને મજૂરી કરે છે. પરંતુ છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગેસ સિલિન્ડર ન મળવાને કારણે રૂમમાં રસોઈ બની શકી નથી. ઘણા શ્રમિકોએ જણાવ્યું કે તેમણે છેલ્લા ત્રણ દિવસથી કંઈ ખાધું નથી.
ગેસની અછતને કારણે સર્જાયેલા આ સંકટને પગલે ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ જોવા મળી રહી છે. મુસાફરો વહેલી સવારની ટ્રેન પકડવા માટે આગલી રાતથી જ સ્ટેશન પર ધામા નાખીને બેઠા છે.

