'નાની-નાની બાબત વિશે પેરેન્ટ્સને ન કહેવાય': સુરત આપઘાત કેસમાં ડૉ. રાધિકા અને મંગેતરની WhatsApp ચેટ આવી સામે, આપઘાતનું રહસ્ય બન્યું ઘેરું

સુરતમાં એક ફિઝિયોથેરાપી ડોક્ટરના આપઘાત કેસમાં ચોંકાવનારો નવો ખુલાસો થયો છે. સરથાણા વિસ્તારમાં 28 વર્ષીય ડોક્ટર રાધિકા કોટડીયાએ નવમા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. જોકે, પોસ્ટમોર્ટમ અને પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કૂદતા પહેલા રાધિકાએ ઝેરી પદાર્થનું સેવન પણ કર્યું હતું.
આપઘાતનું ચોંકાવનારું કારણ
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ડોક્ટર રાધિકા કોટડીયાએ આત્મહત્યા કરતા પહેલા એક 'ચાય પાર્ટનર કાફે'માં બેસીને અનાજમાં નાખવામાં આવતી ઝેરી ટીકડીઓ ખાઈ લીધી હતી. ત્યારબાદ, ઝેરની અસર થાય તે પહેલા જ તેણે નવમા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું હતું. મૃત્યુનું ચોક્કસ કારણ અને ઝેરની અસર કેટલી હતી તે જાણવા માટે ડોક્ટરના વિસેરાના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે.
લગ્નના બે મહિના પહેલા સંબંધોમાં તણાવ
ડોક્ટર રાધિકાના લગ્ન 19 ફેબ્રુઆરીએ મંગેતર કિશન સાથે થવાના હતા. પોલીસે રાધિકાના પરિવારજનો અને મંગેતર કિશનની પૂછપરછ શરૂ કરી છે, જેમાં બહાર આવ્યું છે કે રાધિકા અને કિશન વચ્ચે નાની નાની બાબતોમાં ઝઘડા થતા હતા. પોલીસને રાધિકા અને કિશન વચ્ચે થયેલી WhatsApp મેસેજની ચેટ પણ મળી છે. આ ચેટમાં રાધિકાએ કિશનને કહ્યું હતું કે, "નાની-નાની બાબત વિશે પેરેન્ટ્સને ન કહેવાય." આ મેસેજ સૂચવે છે કે નાની વાતોમાં કિશન દ્વારા પરિવારજનોને વાત કરવામાં આવતી હોવાથી રાધિકા તણાવમાં હતી.
સરથાણા પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજ પણ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે, જેથી આ આપઘાત પાછળનું સાચું કારણ અને મંગેતર સાથેના સંબંધોની ગૂંચવણ જાણી શકાય.

