સુરતથી મહાકુંભ પ્રયાગરાજ જતી STની વોલ્વોને અપાઈ લીલીઝંડી, લોકોએ કહ્યું આશા છોડી દીધી હતી પણ તંત્રએ આપી ખુશી

આસ્થાના મહાકુંભ પ્રયાગરાજ જવા માટે પ્લેન કે ટ્રેનમાં ક્યાંય જગ્યા નથી. ત્યારે ભાવિકોની લાગણી અને માગણીને ધ્યાને રાખીને ગુજરાત સરકાર સંચાલિત એસટી બસ દ્વારા વોલ્વો શરૂ કરવામાં આવી છે. ત્યારે આજે સુરતથી મહાકુંભ તરફ પ્રસ્થાન કરતી નવી વોલ્વોને ગૃહ અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ લીલીઝંડી આપી હતી. આ તબક્કે યાત્રાળુઓએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે અમે તો આશા જ છોડી દીધી હતી. પરંતુ તંત્રએ અમને ખુશીઓ આપી છે.
આ પણ વાંચોઃ સુરતમાં ધોરણ 7ની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ મોતને કર્યુ વ્હાલું, પરિવારજનો શોકમાં ગરકાવ
સરકારના આયોજનથી ખુશી
આજે સુરતથી મહાકુંભ માટેની વોલ્વો બસને હર્ષ સંઘવીએ લીલીઝંડી આપી હતી. પ્રથમ દિવસે પ્રયાગરાજ માટે એક બસ ઉપડી હતી. જેમાં 35 ભાવિકો પ્રયાગરાજ ગયા હતા. સુરતથી આવતીકાલથી રોજની બે બસ ઉપડશે જેનું પણ ૫૦ ટકાથી વધુ બુકિંગ થઈ ચૂક્યું છે. યાત્રાળુએ કહ્યું કે, અગાઉ પણ પ્લાન બનાવ્યા હતા. પણ મારે ત્રણ વર્ષની નાની બાળકી હોવાથી ત્યાં ભીડ પણ વધુ હોવાથી અને અમુક અકસ્માતો પણ બન્યા હોવાથી જવું કે ન જવું તેની વિચાર કરી રહ્યા હતા. દરમિયાન ગુજરાત સરકાર દ્વારા આ વોલ્વો બસ શરૂ કરવામાં બુકિંગ શરૂ થતાની સાથે જ અમે બુકિંગ કરાવી લીધુ હતું.
કુંભ નજીક લઈ જવાશે
વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતથી મહાકુંભમાં જવા માટે ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. જેના પગલે સરકાર દ્વારા પહેલા અમદાવાદથી વોલ્વો બસ શરૂ કરી હતી. જ્યારે આજથી વધુ પાંચ વોલ્વો બસ શરૂ કરી છે. જેમાં આજે મુસાફરો વોલ્વો બસમાં પ્રયાગરાજ રવાના થયા છે. ત્યાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરતાં કહ્યું કે, ત્યાં થોડી ભીડ હોય અને એકાદ બે કલાકનું મોડું થાય તો પણ એસટી બસ તમારી રાહ જોઈ છે. ભીડ જેવી પરિસ્થિતિ હોય તો થોડો રાહ જોજો. આ સાથે જ પાર્કિંગથી ચાલવાની માનસિકતા સાથે જ વિચાર કરજો. સરકારી બસને કુંભની નજીક લઈ જવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
એસી વોલ્વોનું ભાડું 8300
સરકારે સુરતથી મહાકુંભમાં જવા ઇચ્છતા શ્રદ્ધાળુ માટે પેકેજ જાહેર કર્યું છે, જેમાં 3 રાત્રિ અને 4 દિવસનું વ્યક્તિ દીઠ 8,300નું પેકેજ રહેશે. એમાં જીએસઆરટીસીની એસી વોલ્વો બસ રહેશે. જ્યારે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ રહેવાની સુવિધા કરશે. દિવસનું અને રાતનું ભોજન પેસેન્જરના સ્વખર્ચાનું રહેશે એટલે ભોજનની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા પેકેજમાં નથી.

